મુક્તિની ઝંખના સાથે દમણનો આજે 59મો મુક્તિ દિવસ - daman news
દમણ : 19મી ડિસેમ્બર સંઘપ્રદેશ દમણ-દીવના લોકો માટે અતિ મહત્વનો દિવસ છે. કેમ કે આજથી 59 વર્ષ પહેલા 1961માં દમણને 402 વર્ષનાં, દીવને 426 વર્ષના પોર્ટુગીઝ શાસનમાંથી ભારતીય સેનાએ મુક્તિ અપાવી હતી. જો કે, આ અતિ મહત્વનો દિવસ હોવા છતાં આજે પણ દમણ જાણે મુક્ત વિચારો ધરાવતું દમણ બની શક્યું નથી. મુક્તિ બાદ દાણચોરી માટે, દારૂ માટે અને હવે પ્રશાસનિક-રાજકીય શાસકોની તાનાશાહી માટે જાણીતું બન્યું છે. દમણનો મુક્તિ દિવસ માત્ર પ્રશાસનની ઊજવણીનો દિવસ બનીને રહ્યો છે.
દમણનો આજે 59મો મુક્તિ દિવસ
દમણના ઇતિહાસની વાત કરીએ તો વાસ્કો દી ગામાના ભારત આગમનના 12 વર્ષ બાદ 1510માં ગોવા પર સૌપ્રથમ પોર્ટુગીઝ શાસન સ્થાપ્યું હતું. 1535માં દિવ ઉપર અને 1558માં દમણ પર પોર્ટુગીઝ શાસનનો આરંભ થયો હતો. જે લાભલગાટ 451 વર્ષ સુધી કાયમ રહ્યા બાદ 19મી ડિસેમ્બર 1961ના રોજ અસ્ત થયું હતું. તે જ રીતે 19મી ડિસેમ્બર 1961નો દિવસ ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં લખાયેલો છે અને તેને ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જા સાથે સામેલ કરવામાં આવ્યા હતાં.
1987ના રોજ ગોવાને એક રાજ્ય બનાવી દમણ-દીવને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા અને તેની રાજધાની દમણ બની. હાલમાં ફરી એકવાર ઈતિહાસે કરવટ બદલી છે. હાલ દમણ-દીવને દાદરાનગર હવેલી સાથે એક કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો છે. દમણ-દીવમાં પોર્ટુગીઝ સમયના અનેક સ્મારકો છે. જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. દમણમાં મોટી દમણ અને નાની દમણ એમ બે ભાગમાં વહેંચાયેલા શહેર છે. અરબ સાગરના કિનારે આવેલા આ પ્રદેશમાં પોર્ટુગીઝ સમયમાં કિલ્લાઓ છે.
પોર્ટુગીઝ સમયના ચર્ચ છે. તો વહીવટી કામકાજ માટે સ્થાપેલ નગરપાલિકાનું મકાન આજે પણ કાર્યરત છે.ભારતમાં વિલિન થયા બાદ સંઘપ્રદેશ દમણ કેન્દ્ર સરકારની રાહબરી હેઠળ આવે છે. અહીં પ્રશાસકનો હોદ્દો સર્વોપરી માનવામાં આવે છે. જે માટે એક સમયે IAS કક્ષાના અધિકારીઓ જ પ્રશાસક તરીકે આવતા હતાં.
હાલમાં મોદી સરકારે અહીં ગુજરાતના માજી ગૃહપ્રધાન પ્રફુલ્લ પટેલને પ્રશાસક તરીકે મૂક્યા છે. ત્રણ વર્ષમાં વિકાસના નામે દમણ-દીવમાં અનેક ઈતિહાસ રચાયા છે. તો સાથે સાથે દમણ-દીવની જનતાએ પ્રશાસનની તાનાશાહી પણ જોઈ છે અને હજુ પણ જોઈ રહી છે. કાયદો વ્યવસ્થા અહીં પ્રશાસકના હાથમાં છે. જેમાં દમણવાસીઓના તમામ મૌલિક અધિકારો છીનવાયા હોવાની પ્રતીતિ વખતો વખત સામે આવી છે. મુક્તિ દિવસની ઉજવણી હાલમાં માત્ર પ્રશાસનની ઉજવણી બનીને રહી છે.
ઉલ્લેખનીય છે કે, આજના પોર્ટુગીઝ સમયના અવશેષો જોતા કહી શકાય કે પોર્ટુગીઝોએ દમણ પર કરેલુ 402 વર્ષ અને દિવ પર કરેલુ 426 વર્ષનું શાસન અંગ્રેજોના શાસન કરતા અને હાલના શાસન કરતા અનેકગણુ ચડિયાતું હતું. મુક્તિ બાદ દાણચોરી માટે, દારૂ માટે અને હવે પ્રશાસનિક અધિકારીઓની તાનાશાહી માટે જાણીતા બનેલા દમણનો મુક્તિ દિવસ 59 વર્ષે માત્ર પ્રશાસનની ઊજવણીનો દિવસ જ બનીને રહ્યો છે.