ગુજરાત

gujarat

ETV Bharat / state

દમણનો બસ ડેપો જર્જરીત, મુસાફરો પર પડી રહ્યા છે પોપડા - DMN

દમણ: પ્રવાસન સ્થળ દમણમાં રોજના હજારો સહેલાણીઓ આવે હોય છે. દમણનો નાનકડો બસ ડેપો હંમેશા સહેલાણીઓની અવર-જવરથી ભરાયેલો રહે છે. જે જર્જરિત હાલતમાં હોવાથી પોપડા પ્રવાસીઓ પર પડી રહ્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 19, 2019, 12:26 PM IST

પોર્ટુગીઝકાલીન ઇતિહાસ ધરાવતું દમણ તેના દરિયા અને શરાબ-કબાબની જામતી મહેફિલો માટે દેશભરના સહેલાણીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. મોટાભાગના પ્રવાસીઓ અહીં એસ.ટી. બસ દ્વારા આવે છે. જે માટે પ્રસાશને જર્જરિત બસ સ્ટેશનનું રીનોવેશન અને રંગરોગાન કરીને હાથ ખંખેરી નાખ્યા હતા. દમણના જર્જરિત થયેલા બસ સ્ટેશનનું રીનોવેશન કાર્ય હાથ ધરાયા બાદ ડેપોની છતના પોપડા ખરવાનું શરુ થયું છે.

બે દિવસથી પીક-અપ ટાઈમમાં જ જયારે મુસાફરો ડેપોની છત નીચે બેસ્યા હોય ત્યારે જ ઉપરથી પોપડા ખરી રહ્યાં છે. જેથી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા છે. આસપાસના રહીશોના જણાવ્યા મુજબ રાત્રે પણ ડેપોના પોપડા ખરી રહ્યા છે. આખા ડેપોની હાલત ક્ષત વિક્ષત થઇ ચુકી છે. ડેપોની ઓફિસની બારીઓ પણ કાટ ખાઈ ચુકી છે. ઓફિસની અંદર પણ છતની સ્લેબનાં સળિયા દેખાવા માંડ્યા છે.

સફાઈના અભાવે અહીં ગંદકીએ પણ માજા મૂકી છે. એસ.ટીના કર્મચારીઓ અહીં જીવને જોખમે કામ કરી રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છે. દમણ પ્રશાસનને કેન્દ્ર સરકાર તરફથી વર્ષે દહાડે પ્રદેશના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે. દમણમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક વિકાસલક્ષી કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, પણ આ જ સુધી આ બસ સ્ટેશનમાં કોઈ સુધારો વધારો કરવામાં આવ્યો નથી.

દમણનો બસ ડેપો જર્જરીત, મુસાફરો પર પડી રહ્યા છે પોપડા

આખા દેશમાંથી આવતા સહેલાણી સૌ પ્રથમ બસ ડેપો પર ઉતરે છે અને ડેપોની હાલત જોઈને તે દમણના વિકાસની હાલતનો તાગ માપવાની મથામણ કરે છે. પરત ફરતી વખતે પણ તે એ જ જર્જરિત અને ગંદા ડેપો પર આવીને દમણ વિશેના નકારાત્મક વિચારો લઈને બસમાં ચડે છે અને પાછા ક્યારેય નહીં આવીએ એવા નકારાત્મક વિચારો સાથે પોતાના ઘરે પરત ફરે છે. જેનું નુકસાન અંતે દમણને જ થવાનું છે.

દમણના હાર્દમાં અને જર્જરિત થયેલા આ બસ સ્ટેશનનું યોગ્ય સમારકામ કરવામાં આવે અથવા તેના સ્થાને નવો બસ ડેપો બનાવવામાં આવે તે હવે માગ છે. ગુજરાતમાં તો ઘણા ખરા બસ ડેપો અને રેલવે સ્ટેશનો પણ હવે સહેલાણીઓ માટે ફરવા લાયક સ્થળ બન્યા છે. આવા સંજોગોમાં દમણ જેવા પ્રવાસીઓની ચહલ-પહાલથી ગુંજતા શહેરમાં જો બસ સ્ટેશનની દશા સુધારવામાં આવે તો પ્રદેશમાં ફરવાલાયક સ્થળોમાં વધુ એક પોઇન્ટનો ઉમેરો થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ABOUT THE AUTHOR

...view details