વલસાડ જિલ્લાના ઉમરગામ ગાંધીવાડી સ્થિત CHC હોસ્પિટલમાં જન્મ થયાને ચાર કલાકની અંદર બાળકીનું મોત થયાની ઘટના ફરજ ઉપરના તબીબના ધ્યાને આવી હતી. જે શંકાસ્પદ જણાતા સ્થાનિક પોલીસને જાણ કરી મૃત બાળકીનું ફોરેન્સિક PM સુરત સિવિલ હોસ્પિટલમાં કરાવ્યું હતુ, જેમાં નવજાત બાળકીનું ગળું દબાવીને હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું.
હાય રે કુરિવાજો ! દીકરી જન્મના વધામણાં કરવાને બદલે કરી નાખી હત્યા ! - દીકરીને લઈને ચાલતા અનેક કુરિવાજો
દમણઃ ઉમરગામ દેશમાં દીકરીને લઈને ચાલતા અનેક કુરિવાજો હજુ પણ લોકોના માનસપટમાંથી દૂર થયા નથી. તેનું તાજું અને અરેરાટી ભર્યું ઉદાહરણ ઉમરગામ વિસ્તારમાં સામે આવ્યું છે. અહીં ત્રણ દીકરીઓની માતાએ ચોથી દીકરી જન્મતા ચાર કલાકમાં જ તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
જે બાદ આ અંગે બાળકીની માતાની પૂછપરછ હાથ ધરતા માતાએ હત્યા કર્યાની કબુલાત કરી હતી અને હત્યા પાછળનું ચોંકાવનારું કારણ પણ જણાવ્યું હતું. જે જાણીને આજે પણ દીકરીઓને લઈને લોકોના માનસપટ પર ચાલતા કુરિવાજો સામે આવ્યાં હતાં.
ઉમરગામ ગાંધીવાડીના સાકેત નગરમાં રહેતી મૂળ ઉત્તરપ્રદેશના જોનપૂર જિલ્લાના પરિવારની મહિલાની કુખે સતત ચોથીવાર પણ બાળકીએ જન્મ લેતા તેને ગળે ટૂંપો દઇને હત્યા કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી. હાલ આ સમગ્ર મામલે PSI પોતે ફરિયાદી બનીને ચાર બાળકીની હત્યા કરનારી માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.