ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં ઈંટના ભઠ્ઠાના માલિકોની હાલત કફોડી, વલસાડ જિલ્લામાં કરોડોનું નુકસાન

કોરોના મહામારીમાં જાહેર કરેલા લોકડાઉનના કારણે વલસાડ જિલ્લાના 500 જેટલા ઈંટના ભઠ્ઠાના માલિકોની હાલત કફોડી બની છે. ઈંટના ભઠ્ઠા માલિકોના જણાવ્યા મુજબ લોકડાઉન દરમિયાન મજૂરોની અછતના કારણે લાખોનું નુકસાન થઈ રહ્યું છે.

By

Published : Apr 19, 2020, 8:25 PM IST

લોકડાઉનમાં ઈંટના ભઠ્ઠા માલિકોની હાલત કફોડી
લોકડાઉનમાં ઈંટના ભઠ્ઠા માલિકોની હાલત કફોડી

વાપી: કોરોનાની વૈશ્વિક મહામારીમાં ધંધા રોજગાર બંધ થઇ ગયા છે. લોકો કોરોનાના ભયને કારણે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મજૂરવર્ગ વતન જતો રહ્યો છે, ત્યારે આ માહોલમાં ઈંટના ભઠ્ઠા માલિકોની હાલત પણ કફોડી બની છે. ભઠ્ઠા માલિકોના જણાવ્યા મુજબ લાખોનું નુકસાન થઈ રહ્યું છે.

વલસાડ જિલ્લામાં અંદાજિત 500 ભઠ્ઠા આવેલા છે. આ અંગે ભઠ્ઠા માલિક વસુ ટોકીયાએ જણાવ્યું હતું કે, આ 500 ઈંટના ભઠ્ઠા માલિકોને મજૂર મળતા નથી, તેથી કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. જો આ જ પરિસ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં વધુ નબળી પરિસ્થિતિનું નિર્માણ થશે અને ખૂબ જ મોટું નુકસાન વહોરવું પડશે.

જિલ્લામાં ઈંટના ભઠ્ઠા માલિકો લોકડાઉનના કારણે બે મહિનાથી નુકસાની વેઠી રહ્યાં છે. આ સંજોગોમાં વાર્ષિક જે ઈંટનું ઉત્પાદન કરી શકાય તેમાં 3 મહિના ઓછું કામ થયું છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં મહારાષ્ટ્રમાંથી મજૂરો ઈંટના ભઠ્ઠામાં કામ કરવા આવે છે. જે મજૂરો લોકોડાઉનના કારણે વતન જતા રહ્યાં છે. બીજી તરફ કોલસા-માટી સહિતના માલની પણ તંગી સર્જાઈ છે, જેને કારણે કાચી ઈંટો બનાવવી પણ બંધ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details