દાહોદ: નગરમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા માટે ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇઝ ઓફ લિવિંગ સીટીઝન પર્સેપ્શન સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાંથી નાગરિકોના પ્રતિભાવો મેળવીને ભવિષ્યના સ્માર્ટ સિટીના કામો હાથ ધરવામાં આવશે.
દાહોદમાં સ્માર્ટ સિટી પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દાહોદ સ્માર્ટ સિટીના મુખ્ય કારોબારી અધિકારી ડૉ. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, ઇઝ ઓફ લિવિંગ સર્વેનું કામ કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે નાગરિકો પાસેથી જીવન ધોરણને લગતી બાબતો, આર્થિક સ્થાયીકરણ અને સાતત્ય પૂર્ણતા અંગેના પ્રતિભાવો મેળવવામાં આવશે.
જીવન ધોરણને લગતી બાબતોમાં શિક્ષણની સુવિધા, આરોગ્યની સુવિધા, આવાસ, ગટર અને ઘન કચરા નિકાસ વ્યવસ્થાપન, સુરક્ષા અને સલામતી અને ગતિશીલતાનો સમાવેશ થાય છે. જ્યારે, આર્થિક સ્થાયીકરણ માટે આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે સાતત્ય પૂર્ણતામાં વાતાવરણ, ગ્રિન બિલ્ડીંગ, વીજળીનો ઉપયોગ અને સ્થિતિ સ્થાપક્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સર્વેમાં કુલ 22 પ્રશ્નોની એક પ્રશ્નાવલી બનાવવામાં આવશે. જેમાં સારા અને સસ્તા શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, ગાર્બેજ કલેકશન, આનંદ-પ્રમોદના સ્થાનોની ઉપલબ્ધતા, નાણાકીય સંસ્થાઓની કામગીરી સહિતની બાબતો અંગે નાગરિકો www.eol2019.org/citizenfeedback પર પોતાના પ્રતિભાવો આપી શકશે. પ્રતિભાવો આપવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી છે. આ પ્રતિભાવોના આધારે દાહોદ નગરના વિકાસ કામોનું આયોજન હાથ ધરવામાં આવશે.