દાહોદમાં ગેસનો બાટલો ફાટતા ફાયર ફાઇટર સહિત પાંચ લોકોને ગંભીર ઇજા - દાહોદ આગના સમાચાર
દાહોદઃ સમગ્ર રાજ્યમાં આગના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે શહેરના ભીલવાડા વિસ્તારમાં રાત્રિ દરમિયાન નિકેશ રાંધણ ગેસનો બાટલો અકસ્માતે સળગતા ભિષણ આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડના બે જવાન સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોનો તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બનાવના પગલે આસપાસના રહીશ ઘરનો બાટલો લઇ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો અને આ ઘટનાને પગલે નજીકના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ શહેરના તળાવ ફળિયામાં આવેલા ભીલવાડા વિસ્તારમાં રહેતા નિનામા પરિવારના ઘરમાં રાંધણ ગેસનો બાટલો લીકેજ હોવાથી અકસ્માતે એકાએક આગ લાગી હતી. જેથી આસપાસના લોકો બાટલામાં લાગેલી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ ઉપરાંત ફાયર વિભાગના કર્મચારીઓને તાત્કાલિક જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને ઓલાવવાના પ્રયાસ કર્યા હતા. તેમજ સળગતા બાટલાને પાણીના ભરેલા પીપળામાં નાખવા જતા એકા-એક રાંધણ ગેસ બાટલામાં આગની જ્વાળા ભભૂકી ઉઠતાં પાસે ઉભેલા ફાયર બ્રિગેડના બે જવાનો સહિત પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.