ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડમાં આગ લાગવાનું શું હતું કારણ, જાણો વિગતે...

ગાંધીનગર: સુરતમાં ટ્યુશન કલાસીસમાં લાગેલી આગને કારણે સોમવારના રોજ સવારે શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓની મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળી હતી. જે બાદ અગ્ર સચિવ મુકેશ પુરીએ કહ્યું કે, સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ દુઃખદ બનાવ છે. સરકારના આદેશ બાદ રૂબરૂ સુરતમાં મુલાકાત લઈને આવ્યો છું. તે ટ્યુશન ક્લાસીસ અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની ખબર અંતર પૂછીને ઘટનાની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો છે. ACમાં થયેલા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર બનાવમાં અત્યાર સુધી ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

By

Published : May 27, 2019, 8:30 PM IST

ગાંધીનગર

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરીએ કહ્યું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાને મીટિંગ દરમિયાન રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી. સુરતમાં 22 લોકોના અવસાન થયા છે. જ્યારે 15 સારવાર હેઠળ છે. બિલ્ડિંગમાં લાગેલા ACમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે આગ ડોમ ઉપર આવેલા પ્લાસ્ટિકના બેનરમાં લાગતા ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. જ્યારે ઉતરવા માટે માત્ર એક જ સીડી હતી તે પણ લોખંડની હતી અને તેના ઉપર ફાઇબરનું કોટિંગ હતું.

સીડી નીચેથી આગ લાગવાની શરૂઆત થઇ હતી. જે ઉપર સુધી પહોંચી હતી. ત્રણ માળ બિલ્ડિંગમાં રેગ્યુલર હતા. જ્યારે ચોથા માળે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. જેની ઊંચાઈ માત્ર સાત ફૂટની જ હતું. વચ્ચેની જગ્યાએ ઊભા રહીએ તો માથું અડકી જાય તેવી સ્થિતિ હતી. જ્યારે અર્ધગોળાકાર હોવાથી કોર્નર ઉપર જગ્યા જ રહેતી ન હતી. પરિણામે આગ જે રીતે લાગી તેના કારણે ઝડપથી પ્રસરી ગઇ હતી, આ બનાવમાં એક ટીચરનું મૃત્યુ થયું હતું. બિલ્ડિંગમાં એક જ સીડી હતી જ્યારે અન્ય સીડી બંધ રાખવામાં આવી હતી અને ખિલ્લા મારીને આ સીડીને બંધ કરવામાં આવી હતી.

સુરત અગ્નિકાંડ: બેઠક વ્યવસ્થામાં ઉપયોગ કરાયેલ ટાયરોએ 22 બાળકોનો ભોગ લીધો, 3 કર્મીને સસ્પેન્ડ કર્યા

બિલ્ડર જીગ્નેશ હર્ષદ વેકરીયા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઇમ્પેક્ટ ફી બાદ સર્વેની કામગીરી કરનાર અધિકારી દ્વારા ડાયરેક્ટ જોયા વિના જ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારે તે અધિકારીની જવાબદારી બને છે. આ બનાવ બાદ સરકારનું નઘરોળ તંત્ર સફાળું જાગી ગયું છે. ત્યારબાદ 11000 બિલ્ડીંગોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી મોટાભાગના કમર્શિયલ સેન્ટ્રોને નોટિસ ફટકારવામાં આવી છે. આગામી સમયમાં તમામ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીને લઈને તાલીમ આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે. જ્યારે ફ્લેશ બેનર માટે સરકાર નવી પોલિસી લાવશે.

મુકેશ પુરીએ કહ્યું કે, રાજ્યના ફાયર સ્ટેશનમાં સ્ટાફની અછત છે. જ્યારે જરૂરી સુવિધાનો પણ અભાવ છે ત્યારે આગામી દિવસોમાં આ બાબતે સરકાર સાથે ચર્ચા કરી નવી ભરતી કરવામાં આવશે. જ્યારે ફાયર વિભાગ પાસે 15 મીટર સુધીના વાહનોની સીડી છે. જેમાં હાલમાં 70 મીટર સુધીના ઊંચાઇની હાઈરાઈઝ બિલ્ડીંગ બનાવવામાં આવે છે ત્યારે ફાયરના સાધનોની ઊંચાઈ વધારવા જેવી બાબતોની પણ ચર્ચા કરવામાં આવશે.

આ બાબતે મેયર અને કમિશ્નર સામે પગલાં ભરવામાં આવશે કે નહીં તે બાબતે તેમણે કહ્યું કે, હાલમાં માત્ર આગને બનાવને લઇને તપાસ ચાલી રહી છે. FSL દ્વારા આગની બનાવની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે. પરંતુ તેમને કમિશ્નર સામે પગલાં ભરવામાં આવશે કે નહી તે બાબતે ફોડ પાડવાનું ટાળ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details