ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રામોલ વિસ્તારમાં સામુહિક દુષ્કર્મની ઘટના બની છે તે અત્યંત સંવેદનશીલ છે આ મામલે ભોગ બનનાર પીડિતાને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પોલીસ રક્ષણ સાથે સારવાર આપવામાં આવી હતી. તપાસમાં વિલંબ થવાનું કારણ એ છે કે, પીડિતાની માનસિક હાલત નાજુક હતી. તેમ છતાં પણ પોલીસે વહેલી તકે ઘટનામાં સંડોવાયેલા ત્રણેય આરોપીની ધરપકડ કરી છે અને ચોથા આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલે ABVPનો કોઈ પણ વિદ્યાર્થી સામેલ નથી તેવું ગૃહપ્રધાને જણાવ્યું હતું.
રામોલ દુષ્કર્મ મામલે ગૃહપ્રધાનની પત્રકાર પરિષદ ગૃહપ્રધાન વધુમાં જણાવ્યું કે, પીડીતાને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ત્યારે 181 અભયમ હેલ્પલાઇન દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરીને માનસિક રીતે ફરિયાદ દાખલ કરવા પ્રેરિત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે સામેથી જઈને તેની પૂરેપૂરી મદદ લીધી હતી. તેના પરિવારજનોની પણ મદદ લઈને એલ.જી.હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન પીડિતાએ ગર્ભ પાડવા માટે વધુ પડતી ગર્ભનિરોધક દવાઓ લીધી હતી જેના કારણે પીડિતાના પેટમાં જ બાળકનું મૃત્યુ થયું હતું જેના પરિણામે પીડિતાની હાલત વધુ નાજુક બની હતી અને તેના શરીરમાં મલ્ટીપલ ઓર્ગન ફેલ થતાં તેનું મોત નીપજ્યું હતું.સમગ્ર દુષ્કર્મ મામલાની તપાસ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘ અને સતત મોનીટરીંગ કરી રહેલા ઝોન-5 DCP અક્ષય રાજ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશ સુથાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે .પીડિતાની ફરિયાદ દાખલ કરાઇ હતી ત્યારબાદ સારવાર સમયે કલમ 164 મુજબ પિડિતાનું નિવેદન ડોક્ટરની ઉપસ્થિતિમાં મેજિસ્ટ્રેટ સમક્ષ લેવાયું હતું. તેમજ પીડિતાના અને ધરપકડ કરાયેલા ત્રણ આરોપીના DNA સેમ્પલ પણ FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત એક આરોપી હાર્દિક ફરાર છે તેના માતા-પિતાના સેમ્પલ લઇને પણ FSLમાં મોકલી આપવામાં આવ્યા છે.આ ઉપરાંત મહિલાનું મૃત બાળક હતું જે દાટી દેવાયું હતું તેનું પણ મેજિસ્ટ્રેટની મંજૂરી લઈને ડોક્ટરની હાજરીમાં બહાર કાઢીને DNA ટેસ્ટ માટે સેમ્પલ લઇને FSLમાં મોકલી આપવામાં આવ્યા હતું. પૃથકરણ ના કારણો આવ્યા બાદ રાજ્ય સરકાર સત્વરે પગલાં ભરીને દોષિતોને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો કરશે અને તેમાં કોઈ પણ કચાશ રાખવામાં નહીં આવે તેવું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.