ગુજરાત

gujarat

By

Published : Apr 11, 2023, 9:50 PM IST

ETV Bharat / state

Botad News: ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, જાણો બોટાદની જ્ઞાનવર્ધક દીવાલો વિશે

બોટાદના લાખણકા ગામની અનેક દીવાલો ગણિતના સૂત્રો, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને ગુજરાતી ભાષાની સમજથી સુસજ્જ છે. શિક્ષક મનિષભાઈએ ગામની દીવાલોને ‘જ્ઞાનવર્ધક દીવાલો’માં ફેરવી છે. રંગબેરંગી અક્ષરોમાં લખાણ, ચિત્રો સાથે ગામના બાળકો અને ગ્રામજનોને આ દીવાલો જ્ઞાન પીરસે છે.

શિક્ષક મનિષભાઈએ ગામની દીવાલોને ‘જ્ઞાનવર્ધક દીવાલો’માં ફેરવી
શિક્ષક મનિષભાઈએ ગામની દીવાલોને ‘જ્ઞાનવર્ધક દીવાલો’માં ફેરવી

બોટાદ: ગઢડા તાલુકાનું લાખણકા ગામ કે જ્યાં આ ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, ગામની દીવાલો પરના લખાણો વાંચીને તમારૂં સામાન્ય જ્ઞાન વધી જશે. અંગ્રેજી ભાષાના વાક્યોનો અર્થ અને ગુજરાતી ભાષાની સમજ પણ દીવાલો પરના સુંદર સુશોભનથી મળશે. રંગબેરંગી અક્ષરોમાં લખાણ, ચિત્રો સાથે ગામના બાળકો અને ગ્રામજનોને જ્ઞાન પીરસે છે. લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષભાઇ જેઠવાએ ગામના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રૂચિ વધારવા અને ગામના લોકોનું સામાન્ય જ્ઞાન વધારવાનો આ અભિગમ હાથ ધર્યો છે.

ગામની દીવાલો પર માહિતીસભર ચિત્રો

મોજીલું શિક્ષણ: લાખણકા ગામમાં જ્ઞાનની ગંગા વહાવનારા શિક્ષક મનીષભાઇ બાળકોને ‘આનંદમય શિક્ષણ, મોજીલું શિક્ષણ’ આપી રહ્યા છે. સામાન્ય રીતે શાળાએથી છૂટ્યા બાદ બાળકો રમવામાં અને પરિવાર સાથે પોતાનો સમય પસાર કરતા હોય છે. પરંતુ જો બાળકો આ નવરાશના સમયનો ઉપયોગ સામાન્ય જ્ઞાનમાં વધારો કરીને ગણિત, વિજ્ઞાન, ગુજરાતી સહિતના વિષયોનો પાયો પાક્કો કરવામાં કરે તો શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે. બસ આ જ વિચારથી મનિષભાઈએ ગામની દીવાલોને ‘જ્ઞાનવર્ધક દીવાલો’માં પરિવર્તિત કરવાનું નક્કી કર્યું હતું.

દીવાલો બોલે છે:બાળકોને અને ગામલોકોને શિક્ષિત કરતા શિક્ષકે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રક્રિયા નિરંતર શરૂ રહે તે માટે ‘ગામની દીવાલો બોલે છે’ પ્રયોગનો વિચાર આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પણ બાળકોનું શિક્ષણકાર્ય યથાવત રહે અને ગામલોકોના સામાન્ય જ્ઞાનમાં પણ વધારો કરવાના હેતુથી પ્રયોગ શરૂ કર્યો હતો. ગામની શેરીઓ, મુખ્ય બજારમાં, મંદિર સહિતની જગ્યાઓ પર જ્યાં બાળકો શાળા બાદનો સમય પસાર કરતા હોય તેવી જગ્યાઓ પસંદ કરી અને ગણિત, અંગ્રેજી, ગુજરાતી સહિતના વિષયોના જરૂરી સૂત્રો લખવાનું કાર્ય મેં શરૂ કર્યું હતું. આ કાર્યમાં લાખણકા પ્રાથમિક શાળા અને ગામલોકોનો પણ ખૂબ મોટો સહકાર મળ્યો છે.

ગામની શેરીઓ, મુખ્ય બજારમાં, મંદિર સહિતની જગ્યાઓ પર જ્યાં બાળકો શાળા બાદનો સમય પસાર કરતા હોય તેવી જગ્યાઓ

આ પણ વાંચો:Kutch University : મહાભારતના પાત્રો અને મૂલ્ય થકી મેનેજમેન્ટનું જ્ઞાન, કચ્છ યુનિવર્સિટીમાં જોવા મળ્યો અનોખો પાઠ

રમતા રમતા શીખે છે બાળકો: મનીષભાઈના આ પ્રયત્ન વિશે લાખણકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિનય જણાવે કે મારા જેવા અનેક બાળકો ગામની દીવાલો પર લખાણ વડે રમતા રમતા જ અનેક વિષયો શીખી જાય છે. ખુશ્બુ કહે છે સ્કૂલમાં તો અમે ભણીએ જ છીએ. પરંતુ શાળા સિવાય પણ અમે આ રીતે ભણી શકીએ છીએ. પુસ્તકમાંથી વાંચીએ એ બધું તરત યાદ ન રહે પરંતુ ચિત્રો સાથે અહીં જોઈને વધુ યાદ રહી જાય છે. આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હની પણ રંગબેરંગી ચિત્રો વડે તેનું જ્ઞાન વધતા ખૂબ ખુશ છે. હની જણાવે છે કે, અમારા શિક્ષક દ્વારા શેરીઓમાં ચિત્રો દોરવામાં આવ્યા છે જેમાંથી ઘણું શીખવા મળી રહ્યું છે.

અનેક બાળકો ગામની દીવાલો પર લખાણ વડે રમતા રમતા જ અનેક વિષયો શીખી જાય

આ પણ વાંચો:અવકાશનો અભ્યાસ થયો આસાન, કચ્છથી શરૂ કરો અંતરિક્ષની સફર

ગામલોકોએ બિરદાવ્યો નવતર પ્રયાસ: આ પ્રયોગમાં ગામલોકો પણ મનીષભાઇને ભરપૂર સહયોગ આપી રહ્યા છે. ગામલોકો જણાવે છે કે મનીષભાઈ જેવા શિક્ષક અમારા માટે ઉદાહરણરૂપ છે. રજાના દિવસોમાં તેઓ ગામની દીવાલો પર માહિતીસભર ચિત્રો તૈયાર કરે છે જે ખરેખર સરાહનીય છે. શિક્ષણ એટલે સમગ્ર વિશ્વની સમજ કુમળા માનસ પર અંકિત કરવાની કળા. આ સિદ્ધાંતને આત્મસાત કરવા ગુજરાતની પ્રગતિશીલ સરકાર સતત કટીબદ્ધ છે. આ કટિબદ્ધતાને મનીષ જેઠવા જેવા અનેક કુશળ શિક્ષકો શ્રેણીબદ્ધ આયોજનો વડે આત્મસાત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details