ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2019, 10:54 PM IST

ETV Bharat / state

ભાવનગરમાં એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ વાર ડુંગળીનો પાક નિષ્ફળ, જગતનો તાત રાતા પાણીએ રોવા મજબુર

ભાવનગરઃ જિલ્લામાં ડુંગળીનું વાવેતર શિયાળુ પાક માટે આશરે ૫૦ થી ૬૦ હજાર હેક્ટર જમીનમાં થાય છે. મહારાષ્ટ્રના પુણે બાદ ભાવનગર જિલ્લો દેશનો બીજા નંબરનો જિલ્લો છે અને હાલ ખેડૂતોને શિયાળુ ડુંગળીના વાવેતરના સમયે થયેલા કમોસમી વરસાદે રાતા પાણીએ રડાવ્યા છે. કમોસમી વરસાદને પગલે ડુંગળીના બિયારણ ફેલ ગયા છે. એક નહી બે ત્રણ વખત બિયારણ ફેલ જતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા વ્યક્ત કરી છે, તો ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણીએ પણ સરકારને ખેડૂત માટે પેકેજ જાહેર કરવાની માગ મુકી છે.

ભાવનગર જિલ્લામાં ત્રણ વાર ડુંગળીનો પાક નિષ્ફળ થતા જગતનો તાત રાતા પાણીએ રોવા મજબુર

ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર જમીન સાડા ચાર લાખ હેક્ટર છે. પરંતુ, ગરીબોની કહેવાતી કસ્તુરીનું વાવેતર ચોમાસાના અંત બાદ શિયાળાના પ્રારંભ થતું હોઈ છે, એટલે કે દિવાળી પર ડુંગળીના બિયારણ સોપવામાં આવે છે. પરંતુ, મેઘરાજાની ચોમાસાની સવારી જોરદાર રહેતા જિલ્લામાં અતિવૃષ્ટિ સર્જાઈ છે, તો બાકીના પાછળના દિવસોમાં 'મહા' વાવાઝોડાને પગલે ડુંગળીના બિયારણ સોપ્યા બાદ બળી જવાથી ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યું છે. ખેડૂતોએ હજારો ખર્ચીને બિયારણ એક નહી બે ત્રણ વખત સોપવા છતાં કમોસમી વરસાદે તેને ફેલ કરી દેતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ખેડૂતોને ચોમાસાનો પાક પણ બળી ગયો છે અને હવે બાકી રહેતા ડુંગળીના વાવેતર સમયે પણ કમોસમી વરસાદે બિયારણ બગાડીને ખેડૂતને આર્થિક સંકડામણમાં મુક્યા છે. જેથી હવે સરકાર આગળ આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લામાં ત્રણ વાર ડુંગળીનો પાક નિષ્ફળ થતા જગતનો તાત રાતા પાણીએ રોવા મજબુર

ભાવનગર જિલ્લો મહારાષ્ટ્રના પુણે પછીનો દેશનો બીજા નંબરનો જિલ્લો છે, કે જ્યાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થાય છે, જો કે કમોસમી વરસાદને પગલે બિયારણ ફેલ જતા હવે ઉત્પાદન પર સીધી અસર થવાની છે. એટલે કે ડુંગળી આગામી દિવસોમાં મોંઘી બની જશે જો કે કમોસમી વરસાદને પગલે થયેલા નુકશાનને કારણે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. ઘોઘા પંથકના તાલુકા પંચાયત પ્રમુખે માગ કરી છે કે સરકારે ખાસ ડુંગળીના ખેડૂતો માટે પેકેજ જાહેર કરવું જોઈએ. આમ, તો દરેક ખેડૂતના પાક બળી ગયા હોવાથી ખેડૂત માટે મોટું પેકેજ જાહેર કરે.

સરકાર માત્ર પ્રીમીયમ વાળા ખેડૂતોની વાત ન કરે કારણ કે તેને તો ફરજીયાત સરકારે વહેલા સહાય ચૂકવી દેવી જોઈએ. જેની પાસે પ્રીમીયમ પણ નથી તેવા દરેક ખેડૂતનો સર્વે હાલ ખેતીવાડી વિભાગ કરી રહી છે. હવે સરકાર સહાય નહી કરે તો ખેડૂતોને પોતાનું નુકશાન સરભર કરવા માટે હવે જે ડુંગળીનું વાવેતર બાદ ઉત્પાદન થશે તેમાં ભાવ ઊંચા રાખવા પડશે, નહિતર ખેડૂતને માટે આખરો સમય આવશે.

જગતનો તાત રાત દિવસ કરીને દેશની પ્રજા માટે જ્યારે ધાન ઉગાડીને પોતાનો ફાળો આપતો હોઈ, ત્યારે સરકારે તેને પર આવેલી આફતમાં વાતુના વડા કરવાને બદલે તેને વહેલી તકે સહાય મળે અને નવા ધાનના ઉત્પાદનમાં લાગી જાય તેવી કોશિશ કરવી જોઈએ. પરંતુ, ભાવનગર જેવા શહેરમાં હજુ સુધી ડુંગળીનો ટેકાનો એક રૂપિયો પણ આપવામાં આ સરકાર સફળ થઇ નથી, ત્યારે જોવાનું એ રહેશે કે ફરી આશ્વાસન મળશે કે ખરેખર વાયુવેગે સહાય ખેડૂતના ખીચ્ચા સુધી પહોંચશે તે તો હવે આગામી સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details