- પાંચ વર્ષથી બનતો રસ્તો હજુ પણ થયો નથી પૂર્ણ
- ખખડધજ માર્ગ હોવાને કારણે રાહદારીઓ પરેશાન
- ગટર અને ઇલેક્ટ્રિક પોલના કારણે કામગીરીમાં વિલંબ
ભાવનગર: શહેરના સીદસર ગામને મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યું છે, પરતું સીદસર ગામમાં જતા મુખ્ય માર્ગને મોટો કરવા માટે વર્ષોથી ચાલતા કામ અને ખખડધજ સ્થિતિથી લોકોમાં રોષ ફેલાયો છે.
સીદસરનો કયા માર્ગથી લોકોને વર્ષોથી હાલાકી
ભાવનગર મહાનગરપાલિકાના કરેલા વિસ્તરણમાં સીદસર ગામનો 2015માં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય માર્ગને છેલ્લા પાંચ વર્ષથી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ રસ્તામાં ખાડા અને બે બાજુ ખાડા કરીને કપચીઓ નાખવામાં આવી છે અને તેમાં વૃક્ષો ઊગી નીકળ્યા છે. ખખડધજ માર્ગ હોવાને કારણે રોજ આવતા જતા રાહદારીઓને ધૂળ અને ખાડાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોએ પાંચ વર્ષની આ સ્થિતિને બદલવાની માગ કરી છે.
સીદસરના રોડનું કામ પાંચ વર્ષ થયા છતાં પૂર્ણ ન થતાં લોકોમાં રોષ કેટલો માર્ગ અને અધિકારીનો શું જવાબ?સીદસર ગામમાં થઈને અન્ય 50 જેટલા ગામોમાં જવાય છે. તે માટે ગામડામાંથી ભાવનગર શહેરમાં આવતા લોકોને અઢી કિલોમીટરના માર્ગને પગલે હાલાકીનો સામનો કરવો પડે છે. 5.53 કરોડના ખર્ચે બનતો માર્ગ પાંચ વર્ષથી પૂર્ણ થતો નથી. તેની પાછળ અનેક કારણો સામે આવ્યા છે. મનપાના રોડ વિભાગના અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, હા વિલંબ જરૂર થયો છે, ગટર અને ઇલેક્ટ્રિક પોલના કારણે કામગીરીમાં વિલંબ થયો છે, ત્યારે આગામી 3 માસમાં બને તેટલી ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
હાલમાં રોડની શું છે સ્થિતિ?
ભાવનગરમાં નવા ગામોને ભેળવ્યા બાદ તેના વિકાસમાં વિલંબ તો થાય છે. પણ સાથે કામોનો પ્રારંભ કર્યા બાદ પણ તે સમયે પૂર્ણ થતાં નથી. સીદસર રોડમાં એક બે વિભાગ એક બીજાને ખો આપે છે અને કામ કરતા નથી જેથી વિલંબ ઉભો થાય છે. ત્યારે હજુ પણ આ રોડમાં ઇલેક્ટ્રિક પોલ વચ્ચે છે અને ગટરનું કામ ચાલુ છે. જેથી હજુ કેટલો વિલંબ તે જોવાનું રહ્યું.