શહેરમાં સતત વધી રહેલા આખલાના ત્રાસના કારણે શહેરીજનોને અને ખાસ કરીને શહેર પરથી પસાર થતાં વાહન ચાલકોની હાલત કફોડી બનાવી છે. આ સાથે જ શહેરીજનોએ ભાવનગર મહાનગરપાલિકાના શાસકોને વાયરલ થયેલા વીડિયો સાથે એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, હવે ચૂંટણી પુરી થઇ હોય ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાના શાસકોએ હવે શહેરના પ્રાણપ્રશ્ન સમાન આખલાઓના યુધ્ધ અને તેના કારણે થતી જાનમાલની નુકસાની અટકાવવા તાત્કાલિક અસરથી યોગ્ય પગલા લેવાની જરૂર છે.
ભાવનગરમાં વધી રહેલા આખલાઓના ત્રાસ સામે મેયરની પ્રતિક્રિયા
ભાવનગર: ભાવનગર શહેરમાં દિનપ્રતિદિન આખલાઓનો ત્રાસ વધતો જાય છે. બુધવારે શહેર મધ્ય આવેલા જિલ્લા પંચાયત કચેરી સામે સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર લડી રહેલા બે આખલાઓને છૂટા પાડવા જતા એક આધેડને આખલાએ ઠેબે ચડાવ્યાની ઘટનાને હજુ ૨૪ કલાક વિત્યા નથી, ત્યાં સમગ્ર શહેરમાં ઠેર ઠેર સર્જાતા આખલા યુદ્ધના વીડિયો ભાવનગરના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થઈ રહ્યા છે. આ બનાવે ભારે ચકચાર મચાવી છે.
વીડિયો વાયરલ
જો કે, ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને શહેરના પ્રથમ નાગરિક મનહર મોરી શહેરીજનોની આ વેદનાને સમજવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે અને શહેરમાં ભાવનગર મહાનગરપાલિકા તંત્રની અણઆવડત છુપાવવા માટે આખલાઓની સંખ્યા વધી હોવાનું કારણ આગળ ધરી રહ્યા છે. જો કે આ બનાવ હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.