ભાવનગર શહેર સહિત સમગ્ર ગોહિલવાડ પંથકમાં શનિવારની મધ્યરાત્રી બાદ વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડયો હતો. ભાવનગર શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે ગણતરીના કલાકોમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.તો,બીજી તરફ વરસાદને લઇ પાણીના ધસમસતા પ્રવાહના કારણે શહેરના ચિત્રા જીઆઇડીસી થી હાદાનગર જવાના રસ્તા પર સિક્યુરિટીની નોકરી પૂર્ણ કરી ઘરે પરત આવતા બીજલભાઈ પરમાર (ઉ.વ.65, રે. સત્યનારાયણ સોસાયટી, ભાવનગર)તણાયા હતા જોકે વૃદ્ધ પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે સમયસર ન આવતા તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
ભાવનગરમાં વરસાદથી એક વૃદ્ધનું મોત, અનેક વૃક્ષ થયાં ધરાશાયી - gujarat
ભાવનગરઃ શહેરમાં રવિવારે વહેલી સવારે પડેલા અનરાધાર વરસાદે શહેરભરમાં ભારે ખાનાખરાબી સર્જી હતી. એક તરફ ચિત્રા જીઆઇડીસીથી હાદાનગર જવાના રસ્તે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરમાં પડેલા વરસાદના પગલે બે સ્થળોએ આવેલા જર્જરિત મકાનોની પાળી પણ કડડભૂસ થઈને ધરાશાયી થયા હતા, તો શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ વૃક્ષો પડી જવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી.
દરમિયાનમાં ભાવનગર ફાયર બ્રિગેડે શહેરના હાદાનગર નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરની પાછળ પાણીના વગડામાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની વિગત મળતાં ઘટનાસ્થળે દોડી જઇ લાશને પોસ્ટમાર્ટમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં મૃતકના પરિવારજનોએ તેમની ઓળખ કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇ ભારે ચકચાર મચ્યો હતો.
આ ઉપરાંત ધોધમાર વરસેલા વરસાદના કારણે શહેરમાં ઘોઘા સર્કલ, બોર તળાવ તથા હાદાનગર જવાના રસ્તે મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક ની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. સ્થાનિકો અને ફાયર બ્રિગેડ કાફલાએ કલાકોની જહેમત બાદ વૃક્ષો કાપીને ટ્રાફિકને શરુ કર્યો હતો. આ ઉપરાંત શહેરના સંઘેડિયા બજાર સહિત અલગ-અલગ બે સ્થળોએ પણ જર્જરિત મકાનનની પાળી ધરાશાયી થઈ હતી.