ભાવનગર : જિલ્લામાં મોડી રાત્રીના એક કમકમાટી ભર્યો અકસ્માત સર્જાયો હતો. જેમાં ભડભીડ ગામેથી ટ્રેકટરની ટ્રોલી મૂકી અને ટ્રેકટર પર પોતાના ગામ સવાઈનગર પરત ફરી રહેલા 4 લોકોને માઢિયા નજીક એક અકસ્માત નડ્યો હતો.જેમાં કોઈ કારણોસર આ ટ્રેકટર માઢિયા નજીક પલ્ટી મારી જતા નજીકના ખાડામાં પડ્યું હતું.જેમાં ટ્રેકટર પર સવાર 4 લોકો પૈકી 3 લોકો ટ્રેકટરની નીચે દબાઈ ગયા હતા, જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.
ટ્રેકટરમાં લાગી ભીષણ આગ, ઘટનામાં 3 યુવાનોના મોત - ભાવનગરના માઢિયા ગામની ઘટના
ભાવનગરના માઢિયા ગામ નજીક એક ટ્રેકટર પલ્ટી મારી ખાડામાં પડતા ટ્રેકટરમાં સવાર 4 યુવાનો પૈકી 3 યુવાનો ટ્રેકટર નીચે દબાઈ ગયા હતા. ટ્રેક્ટરે પલ્ટી માર્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠતા આગમાં 3 યુવાનોના મોત થયા હતા.જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.આ બનાવના પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![ટ્રેકટરમાં લાગી ભીષણ આગ, ઘટનામાં 3 યુવાનોના મોત ટ્રેકટરમાં લાગી ભીષણ આગ, ઘટનામાં 3 યુવાનોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7414292-1068-7414292-1590885613251.jpg)
આ ટ્રેકટર પલ્ટી મારી ખાડામાં પડ્યા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી, અને જેમાં ટ્રેકટર નીચે દબાયેલા (૧)ભરત મકવાણા,ઉ.વ.34,(૨) તેજાભાઇ પ્રાગજીભાઈ વાઘેલા,ઉ.વ.40,(૩) જીગ્નેશ દુદા ભાઇ બારૈયા આગમાં ભડથું થઈ ગયા હતા .જ્યારે મહેશ જેન્તીભાઈ વાઘેલાનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેકટર પલ્ટી માર્યા બાદ ટ્રેકટરમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી.આ બનાવની જાણ ભાવનગર ફાયરને કરતા ફાયર સ્ટાફ પણ ત્યાં દોડી ગયો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે ત્યાં સુધી આગમાં ત્રણેય યુવાનોના મોત થયા હતા.આ બનાવના પગલે આજુબાજુના ગામના લોકો અને સવાઈનગર સરપંચ સહિતના લોકો ત્યાં દોડી ગયા હતા. જ્યારે એસપી,ડીવાયએસપી પણ ત્યાં પહોંચી આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.