ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ સ્થિત રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ફરી વિવાદમાં સપડાયું

ભરૂચમાં રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ઉભુ કરવામાં આવ્યું છે. જે સતત વિવાદમાં રહે છે. ભરૂચ નગરપાલિકા સિવાય કોઈપણ વિભાગ કે સંસ્થા કોવિડ દર્દીઓની અંતિમ ક્રિયાનો ચાર્જ ચૂકવવા આગળ ન આવતા અંતિમ ક્રિયા ન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

By

Published : Aug 4, 2020, 7:37 PM IST

કોવિડ સ્મશાન
કોવિડ સ્મશાન

ભરૂચઃ રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ભરૂચમાં આવેલુ છે, જે ફરી વિવાદમાં સપડાયું છે. ભરૂચ નગરપાલિકા સિવાય કોઈપણ વિભાગ કે સંસ્થા કોવિડ દર્દીઓની અંતિમ ક્રિયાના ચાર્જ ચૂકવવા આગળ ન આવતા ભરૂચ શહેર બહારના મૃતકોના અંતિમ સંસ્કાર નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભરૂચ સ્થિત રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ફરી એક વાર વિવાદ

કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંક્સાર માટે વહીવટી તંત્ર દ્વારા ગોલ્ડન બ્રીજના અંકલેશ્વર છેડે રાજ્યનું સૌ પ્રથમ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. જેમાં એક વિવાદ સામે આવ્યો છે. કોવિડ સ્મશાનમાં એક દર્દીના અંતિમ સંસ્કાર માટે 7,500 રૂપિયા ચાર્જ વસુલવામાં આવ્યો હતો. જે અંગે પરિવારજનોએ વિરોધ નોંધાવતા આખો મામલો બહાર આવ્યો હતો.

આ અંગે કોવિડ સ્મશાન પર અંતિમ ક્રિયાની વ્યવસ્થા કરતા ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ભરૂચ નગર સેવા સદન દ્વારા ભરૂચ શહેરના દર્દીઓની અંતિમ ક્રિયા માટે સ્વયં સેવકોને ચાર્જ આપવામાં આવે છે. અંકલેશ્વરના શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ અને અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાકડા અને ઘીની વ્યવસ્થા કરવામાં આવે છે.

ભરૂચ શહેર બહારના મૃતકોને પણ અંતિમ ક્રિયા માટે આ સ્મશાનમાં લાવવામાં આવે છે. જેના ખર્ચ માટે કોઈ વિભાગ કે સંસ્થા આગળ આવી નથી. આથી હવે તેઓએ ભરૂચ શહેર બહારના દર્દીઓની અંતિમ ક્રિયા ન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારના જ મૃતક દર્દીઓના અંતિમ સંસ્કારની તમામ જવાબદારી નગર પાલિકાએ સ્વીકારી છે અને જિલ્લાના દર્દીઓ માટે લાકડાની વ્યવસ્થા શાંતિધામ રોટરી સ્મશાન ગૃહ દ્વારા ઉઠાવવામાં આવી છે.

કોવિડ સ્મશાન પર અંકલેશ્વરના મૃતક કોરોના દર્દીના પરિવારજનો પાસે અંતિમ ક્રિયાના 7,500 રૂપિયા વસુલવામાં આવ્યા હતા. જે બાદ આ વિવાદ ઉભો થયો હતો, ત્યારે જિલ્લાની કોઈક સ્વૈચ્છિક સંસ્થા કે સરકારી તંત્ર આગળ આવી ભરૂચ જિલ્લાના તમામ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરે એ જરૂરી છે.

30 જુલાઈ - ભરૂચમાં બનેલા રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાનની દયનીય હાલત

ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ સર્જાયેલા વિવાદના પગલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી કિનારે રાજ્યનું સૌ પ્રથમ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું. જ્યાં ફક્ત કોરોનાગ્રસ્ત મૃતકોના જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જોકે, છેલ્લા 2 દિવસથી આ સ્મશાનમાં વિષમ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

27 જુલાઈ - ભરૂચ-અંકલેશ્વર વચ્ચે કોરોના દર્દીની અંતિમક્રિયા માટે સ્મશાન ઉભું કરવા માગ

અંકલેશ્વર અને ભરૂચના સ્મશાનગૃહમાં કોરોનાગ્રસ્ત મૃતદેહની અંતિમક્રિયા થવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી અંકલેશ્વરના શાંતિધામ રોટરી સ્મશાન ગૃહના ટ્રસ્ટી હરીશ જોશીએ કોરોના સંક્રમિત મૃતદેહ માટે અલગથી સ્મશાન બનાવવાની કરવાની માગ કરી છે.

18 જુલાઈ -ભરૂચ જિલ્લામાં પ્રથમ કોવિડ સ્મશાન ઉભું કરાયું

ભરૂચઃ જિલ્લામાં કોરોના દર્દીના અંતિમ વિધિ માટે સર્જાયેલા વિવાદને પગલે જિલ્લામાં કોવિડ સ્મશાન ગૃહ ઉભું કરવાનો વહીવટી તંત્રનો નિર્ણય કરવામાંં આવ્યો છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા કિનારે તંત્ર દ્વારા પતરાના શેડ સાથે કોવિડ દર્દીના મૃતદેહના નિકાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

04 જુલાઈ - ભરૂચ સ્મશાનગૃહમાં કોરોના દર્દીઓના અંતિમ સંસ્કાર અંગે વિવાદ સર્જાયો

ભરૂચઃ અંકલેશ્વરમાં રહેણાંક વિસ્તારમાં સમશાન ગૃહને લઇ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીની અંતિમ વિધિ કરવા માટે વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર બાદ ભરૂચના દશાશ્વમેઘ ઘાટના સ્મશાન ગૃહ પર સ્થાનિકોએ 4 કલાક સુધી વિરોધ પ્રદર્શિત કરીને મૃતકના અંતિમ સંસ્કાર થવા દીધા ન હતા. આખરે પોલીસે થોડી કડકાઈ વાપરતા 24 કલાક બાદ નર્મદા નદી કિનારે ખુલ્લી જગ્યામાં મૃતકની અંતિમક્રિયા શક્ય બની શકી હતી.

ABOUT THE AUTHOR

...view details