ગુજરાત

gujarat

ETV Bharat / state

દાંતીવાડા કેનાલમાંથી મગરનું રેસ્ક્યુ કરાયું

બનાસકાંઠા: જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ અને પ્રાણી બચાવો અભિયાનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં મગરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડવામાં આવ્યો હતો.

By

Published : Nov 10, 2019, 2:34 AM IST

etv bharat

બનાસકાંઠા જિલ્લામાં અનેક મોટા જંગલો આવેલા છે. જેના કારણે અવારનવાર વન્ય પ્રાણીઓ ઠેર-ઠેર જોવા મળતા હોય છે. કેટલીકવાર પોતાના ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવી જતા હોય છે. જેના કારણે અવારનવાર આવા જંગલી પ્રાણીઓ લોકોને નુકસાન પણ કરતા હોય છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી અનેકવાર મગરો બહાર નીકળી આજુબાજુના ગામોમાં તેમજ શહેરોમાં જોવા મળતા હોય છે. જેના કારણે ગામલોકોમાં આવા જંગલી પ્રાણીઓ અને મગર દેખાતા ભયનો માહોલ જોવા મળે છે.

ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દાંતીવાડા તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી બે અલગ અલગ જગ્યાએથી મગર મળી આવતા ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાત્રીના સમયે દાંતીવાડાની મુખ્ય કેનાલમાં મગર દેખાતા ગામ લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જ્યાં છેલ્લા ઘણા સમયથી પ્રાણી બચાવો અભિયાન ચલાવતા ઉર્વીશ સોલંકી અને તેમની ટીમને દાંતીવાડા તાલુકામાંથી મગર પકડવા માટેનો કોલ આવતા તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મગરની શોધખોળ હાથ ધરી હતી.

દાંતીવાડા કેનાલમાંથી રેસ્ક્યુ કરી મગર ઝડપી પાડ્યો

જ્યાં મોડી રાત્રે દાંતીવાડા ડેમની કેનાલમાં મગર દેખાતા પ્રાણી બચાવો અભિયાનની ટીમ દ્વારા મગર પકડવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભારે જહેમત બાદ સાડા ચાર ફૂટના મગરને પકડવામાં આવ્યો હતો. જે બાદ આ મગરને દાંતીવાડા ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં આ મગરને સુરક્ષિત દાંતીવાડા ડેમમાં છોડી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details