બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત છે. જિલ્લાના મુખ્ય દાંતીવાડા ડેમમાં હજુ જોઇએ તેટલું પાણી નથી. સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તારના લોકોને થયો છે. બનાસકાંઠા જિલ્લામાં 500 કરોડના ખર્ચે નર્મદાની પાઇપ લાઇન દાંતીવાડા ડેમ માં નાખવામાં આવી હતી. તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે તેનું ઉદઘાટન કર્યા બાદ આજદિન સુધી આ પાઇપલાઇનમાં પાણીનું એક ટીંપુ પણ આવ્યું ન હતું. આજે નર્મદાના નીર દાંતીવાડા ડેમ સુધી પહોંચતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નર્મદા ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી અન્ય જીલ્લોમાં તળાવો, અને જળાશયોમાં નાખવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આ નર્મદાની 80 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા જિલ્લાના 45 તળાવો, સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની શરૂઆત કરી દીધી છે.
પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે આજે નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પરબત પટેલે નર્મદાના નીરના વધામણા કર્યા હતા. દાંતીવાડા ડેમમાં આ વર્ષે ઓછું પાણી હોવાથી 100 ક્યુસેક જેટલું પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે.
નર્મદાની પાઇપ લાઇનથી બનાસકાંઠા જિલ્લામાં કુલ ૩૦૦ ક્યુસેક પાણી આવી રહ્યું છે. જેમાંથી 100 ક્યુસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં જ્યારે 100 ક્યુસેક પાણી પાઇપલાઇનની વચ્ચે આવતા તળાવમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે 100 ક્યુસેક પાણી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જિલ્લાના 45 તળાવો નર્મદાના પાણીથી ભરવાની કામગીરી ચાલુ છે.
500 કરોડથી વધુના ખર્ચે દાંતીવાડા ડેમમાં નાંખવામાં આવેલી નર્મદાની પાઇપલાઇન આજે સાચા અર્થમાં ખેડૂતો માટે જીવાદોરી બની છે. નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં આવતા જ ખાલીખમ પડેલો ડેમ પાણીથી ભરપૂર ભરાશે તેવો આશાવાદ જિલ્લાવાસીઓ રાખી રહ્યા છે.