મત ગણતરીની શરૂઆતમાં 10 રાઉન્ડ સુધી ભાજપ આગળ રહ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે તેજ રફતાર પકડી ભાજપથી આગળ નીકળી ગયા હતાં. 19માં રાઉન્ડમાં 6420 મતે તેમનો ભવ્ય વિજય થયો હતો. ખાસ કરીને આ ચૂંટણીની વાત કરીએ તો ભાજપે જીવરાજભાઈ પટેલને ટિકિટ આપતા શંકરભાઈ ચૌધરી જૂથ નારાજ થયો હતો. આ જુથે વિરોધ માટે અનેક ગામોમાં બેઠક યોજી ભાજપના ઉમેદવારને જાકારો આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાદમાં મોવડી મંડળના મનાવ્યાં બાદ આ જૂથ શાંત પડ્યું હતું. ચૂંટણીના પરિણામો પર શંકર ચૌધરી જૂથે મહત્વની ભૂમિકા ભજવી છે.
થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત - gulabsinh rajput won the election
બનાસકાંઠાઃ થરાદ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે. 18 વર્ષ બાદ થરાદ બેઠક પર કોંગ્રેસનો વિજય થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
![થરાદમાં વિધાનસભા બેઠક પર કોગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની જીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4855976-thumbnail-3x2-tharad.jpg)
છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ માત્રને માત્ર ચૌધરી પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતારતો હોવાના કારણે અન્ય સમાજમાં પણ નારાજગી જોવા મળી હતી. તેના કારણે જ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. 2001 બાદ એટલે કે 18 વર્ષ બાદ ફરીથી થરાદમાં કોંગ્રેસ ધારાસભ્ય બનતા કોંગ્રેસ કાર્યકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુલાબસિંહ રાજપુતની જીત થતા તેમને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી વિજય સરઘષ કાઢવામાં આવ્યુ હતું. થરાદના વિજેતા ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આ મારી જીત નથી પણ મારા થરાદની જીત છે. થરાદની જનતાએ મારા પર જે વિશ્વાસ રાખી મને વિજેતા બનાવ્યો છે. હું તેમનો આભારી છું.
ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આજે વિધાનસભા બેઠકની મતગણતરી હાથ ધરાઇ હતી. પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ જગાણા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે આઠ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 1 એસઆરપીની ટુકડી, 1 ડીવાયએસપી, 2 પી.આઈ, પાંચ પીએસઆઈ સહિત 600 જવાનો તૈનાત કરાયા હતાં. જ્યારે 12 સીઆરપીએફની ટુકડી પણ તૈનાત રાખવામાં આવી હતી. કુલ 18 ટેબલ પર 22 રાઉન્ડમાં આ મતગણતરી પૂર્ણ કરાઇ હતી.