- આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો થશે પ્રારંભ
- કોરોના મહામારીને લઈને અખંડ ધૂન મુલતવી રખાઈ
- શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું બનશે ફરજીયાત
અંબાજી:આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આમ તો, વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે. તેમાં આસો માસની અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાતું હોય છે. એટલું જ નહીં, ચૈત્રી નવરાત્રીમાં માઁ અંબાના ચાચરચોકમાં માતાજીના નામની અખંડ ધૂન નવે નવ રાત-દિવસ ઉભા પગે અંબેની અખંડ ધૂન કરવામાં આવતી હોય છે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી અખંડ ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે 1941માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તિઓના નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી. જેમાં, મહેસાણા જિલ્લામાં 150 ઉપરાંત સિનિયર સિટીઝન દ્વારા આ અખંડ ધૂન યોજવામાં આવતી હોય છે. જે અખંડ ધૂન આ વખતે કોરોના મહામારીને લઈને મુલતવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો:નવરાત્રિના પર્વને ધ્યાને લઇ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો
અખંડધૂન આયોજક મંડળે કાર્યક્રમ મોકૂફ રાખ્યો
અખંડ ધૂન મંડળના પ્રતિનિધિઓની ટીમે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટી વિભાગને અખંડ ધૂન મોકૂફ રાખવા માટે પત્ર અર્પણ કર્યું હતું. જોકે, આ અખંડ ધૂન માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી આપી હોવા છતાં ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.