બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજય સરકારના નિર્ણય મુજબ ગરીબી રેખા નીચે આવતા બનાસકાંઠા જિલ્લાના 4,16,270 કુટુંબોને રૂપિયા 1000 લેખે આશરે 41 કરોડ જેટલી માતબર રકમ તેમના ખાતામાં સીધી જમા કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા તથા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અંગે બેઠકમાં પ્રભારી સચિવ અરૂણકુમાર સોલંકીએ આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું કે, લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે લોકોને વીટામીન સીની ટેબ્લેટ અને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરીએ.
આ ઉપરાંત લોકોને જીવનજરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળે, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રાશન વિતરણ થાય, મનરેગા યોજનામાં રોજગારી આપવી, ગ્રામ્ય વિસ્તારમાં ઉધોગ ધંધા શરૂ કરવા, માર્કેટયાર્ડમાં આવતા ખેડુતો સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે અને સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવા સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટર સંદીપ સાગલેએ કોરોનાને અનુલક્ષી જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરીની વિગતવાર માહિતી આપી હતી.