મોડાસા: અરવલ્લી જિલ્લા કોંગ્રેસે પરપ્રાંતીયોના મુસાફરી ભાડાની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટરને મળી યાદી માંગી છે. આ માટે તેમને એક વિનંતી પત્ર સોંપવામાં આવ્યો છે. જેમાં કલેક્ટરને રાજકીય પક્ષાપક્ષીથી ઉપર રહીને એક માનવતાભર્યા વલણને અપનાવી મદદરૂપ થવા માટે ધારદાર રજૂઆત કરી હતી.
અરવલ્લી કોંગ્રેસે પરપ્રાંતીયોના મુસાફરી ભાડાની વ્યવસ્થા કરવા માટે યાદી માંગી - અરવલ્લી જિલ્લા કોંગ્રેસ
કોરોના મહામારી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા તમામ પરપ્રાંતીયોને પોતાના વતન પહોંચવા માટે એસટી બસ અથવા રેલવેના ભાડા ચૂકવવાની તૈયારી દર્શાવતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને મળી આવા પરપ્રાંતીયોની યાદી અને તેમને પોતાના વતન જવા માટે થનાર ખર્ચની વિગત તેમજ નામ-સરનામાની વિગત મેળવવા માટે એક વિનંતી પત્ર સોંપવામાં આવ્યો હતો.

આ રજૂઆત સમયે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કમલેન્દ્ર સિંહ પુવાર, બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ અને તત્વ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર તેમજ પીઢ કોંગ્રેસ અગ્રણી લક્ષ્મણસિંહ જોધા, એલ.ડી બાપુ સરડોઇના આગેવાન જયદીપસિંહ હાજર રહ્યાં હતાં.
તેમણે વહીવટી તંત્રને સજાગ થવા તેમજ એક માનવતાભર્યુ વલણ દાખવી આવા જરૂરિયાતમંદ અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પગે ચાલીને જતા યુવાનો ,વૃદ્ધો, નાના બાળકો, મહિલાઓ તેમજ અપંગ લોકોને મદદરૂપ થવા માટે સહિયારો પ્રયાસ કરી તંત્રને ઉદારતાભર્યું વલણ દાખવવા અપીલ કરી હતી.