ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાતમાં બેંકના ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપાત કરનારા અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો

ખંભાતની બેન્કમાંથી ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપત કરનારા અધિકારીને આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે 9 વર્ષ બાદ આણંદ શહેર પાસેની સામરખા ચોકડી પાસેથી ઝડપી પાડયો હતો. હાલમાં પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને ખંભાત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

By

Published : Feb 19, 2021, 7:36 PM IST

ખંભાતમાં બેંકના ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપાત કરનારા અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો
ખંભાતમાં બેંકના ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપાત કરનારા અધિકારીને પોલીસે ઝડપી પાડ્યો

  • બેન્કમાંથી ખોટા વાઉચર બનાવી ઉચાપત કરનારાને પોલીસે ઝડપી પાડ્યો
  • 9 વર્ષ બાદ ઉચાપત કરનારો અધિકારી ઝડપાયો
  • પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી

આણંદઃ જિલ્લાના ખંભાતમાં ધ હિન્દુ મર્ચન્ટ કો.ઓપરેટિવ નામની બેંક આવેલી હતી. જેમાં વર્ષ 2012માં ખંભાતના વડા વાસુદેવની પોળ ખાતે રહેતા જયેશ પ્રવિણચંદ્ર લોન સેક્શનમાં લોન અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, તે સમયે તેમણે ખોટા વાઉચર બનાવી રૂપિયા દોઢ કરોડની ઉચાપત આચરી હતી. દોઢ કરોડની ઉચાપત થતાં જ સમગ્ર ખંભાત પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. વધુમાં આટલી મોટી રકમની ઉચાપત થતાં જ બેંકનું ઉઠમણું પણ થયું હતું. એ સમયે ખંભાત શહેર પોલીસે જયેશ શાહ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ઉચાપત અને છેતરપંડીની ફરિયાદ નોંધી હતી. જોકે ફરિયાદ નોંધાઈ એ સાથે તમામ આરોપીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા, દરમિયાન આજ દિન સુધી તેઓનો કોઈ પત્તો ન હતો.

પોલીસે વોચ ગોઠવી દબોચી લીધો

બીજી તરફ હાલમાં રાજ્ય સરકાર દ્વારા પોલીસ ચોપડે જે આરોપીઓ છેલ્લા કેટલાય વર્ષોથી નાસતા ફરતા હોય તેમને પકડવાની ઝુંબેશ ચાલવવામાં આવી રહી છે જેને પગલે પોલીસ દ્વારા આવા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાવી તેમને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપી વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત ચાર રસ્તા પાસે રહે છે અને તે અનેક વખત ખંભાતમાં ફરે છે તેવી બાતમી મળી હતી. દરમિયાન આરોપી સોમવારે વડોદરાથી આણંદ સામરખા ચોકડી પાસે આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેને પગલે પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો. પોલીસની પૂછપરછમાં કબૂલાત કરતાં તેણે જણાવ્યું હતું કે, પોલીસ પકડથી બચવા ચાર માસમાં જ મકાન ખાલી કરી દેતો હતો અને મોબાઈલ નંબર પણ બદલી નાખતો હતો.

પોલીસ દ્વારા અન્ય ત્રણ આરોપીઓને દબોચી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી

ઉચાપાત અને છેતરપિંડીના ગુનામાં જયેશ સહિત અન્ય ચાર લોકો જેમાં બેંક મેનેજર અનિલ અને અન્ય એક શખ્સ દિનેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમને પણ હજુ પકડવાના બાકી છે. જોકે ચોથા એક આરોપીનું મૃત્યુ થયું હોવાની પણ વાત વહેતી થઈ હતી. જોકે ચોથા એક આરોપીનું મૃત્યુ અંગે પોલીસ પણ મૂંઝવણમાં છે, કારણ કે તેના મૃત્યુ અંગેની કોઇ ઠોસ માહિતી પોલીસ પાસે નથી. હાલમાં ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા અન્ય ત્રણ આરોપીઓને દબોચી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details