ગુજરાત

gujarat

By

Published : Sep 16, 2019, 11:52 PM IST

ETV Bharat / state

મહિસાગર નદીમાં આવેલા પૂરમાં તણાયેલા વ્યક્તિને ગાજણાના માછીમારે બચાવ્યો

આણંદ: કહેવાય છે કે "રામ રાખે તેને કોણ ચાખે" જી હા, આવો જ કંઈક કિસ્સો આણંદમાં બન્યો હતો. જ્યાં મહીસાગરમાં આવેલા ઘોડાપુરમાં 4 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા એક વૃદ્ધને જાણે પુષ્પક વિમાન સમા ડ્રોન થકી જીવનદાન મળ્યું હતું.

etv bharat aanad

આણંદ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીમાં શુક્રવારે છોડવામાં આવેલા 7 લાખ ક્યુસેક પાણીના કારણે મહી નદી એ જાણે 'સાગર' નું રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાળજું કંપાવી દે તેવા પુરને જોવા આસપાસના વિસ્તારોમાંથી સ્થાનિક લોકો નદી કિનારે એકઠા થવા લાગ્યા હતા. ત્યારે એક વ્યક્તિ કે જેને વીડિયો અને ફોટોગ્રાફીનો શોખ હોય તે નદીના આ રુદ્ર રૂપને કેમેરામાં કેદ કરવા આણંદ જિલ્લાના વાલવોડ ગામ પાસે મહીસાગર નદીને ડ્રોન મારફતે વીડિયો ઉતારી રહ્યો હતો. પરંતુ વીડિયો ઉતારતા સમયે તેને નદીમાં કોઈ વ્યક્તિ તણાતો હોય તેવું દેખાયું. તેના ઉપર ઝૂમ કરતા તેને માલુમ થયું કે, તે વ્યક્તિ જીવિત છે અને નદીના ધસમસતા જળપ્રવાહમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

મહિસાગર નદીમાં આવેલ પૂરમાં તણાયેલા વ્યક્તિને ગાજણાના માછીમારે બચાવ્યો

તેણે ઘટનાની જાણ સ્થાનિક સરપંચ અને આગેવાનોને કરી હતી. આગેવાનો દ્વારા વાલવોડથી નદીના પ્રવાહમાં તણાતાં વ્યક્તિને બચાવવા આગળના ગામ ગાજણામાં જાણ કરવામાં આવી હતી. ગાજણા ગામના અમુક માછીમારો નદી કિનારે આવેલા તેમની નાવ સાચવવા બેઠા હતા. જેમને આ વાતની જાણ થતાં પ્રથમ રાજુભાઈ નામના માછીમાર દ્વારા ડૂબતા વ્યક્તિને બચાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ નદીનો પ્રવાહ અને પાણીનો પ્રકોપ જોઈ રાજુભાઈ દ્વારા લાલજીભાઈને જાણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં અજાણ્યા વ્યક્તિ માટે ગાંડીતુર બનેલી નદીમાં કૂદવાનું જોખમ કોઈ લે નહીં. પરંતુ લાલજીભાઈ દ્વારા પોતાની ચિંતાં કર્યા વગર નદીમાં અંદાજીત 200 ફૂટ કરતા વધારે અંદર તણાતાં વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા.

વૃધ્ધને બહાર કાઢી તેમને થોડી સાંત્વના આપી તેમના વિશે સ્થાનિકો દ્વારા પૂછતાં તેમનું નામ મનુભાઈ ગોહિલ છે અને તે આણંદ જિલ્લાના દાવોલ ગામના વતની છે. ગંભીરા બ્રિજ પર નદીનું પાણી જોવા ગયા હતા, ત્યારે બપોરના 12 વાગ્યા આસપાસ કોઈ કારણોસર નદીમાં પડી ગયા હોવાની જાણકારી આપી હતી. મનુભાઈને રેસ્ક્યુ કર્યા બાદ તેમને જરૂરી ડૉક્ટરી સારવાર આપી તેમની સાથે બનેલી ઘટનાની જાણ તેમના પરિવારને કરી તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. હાલ તેઓ સ્વસ્થ છે અને તેમનો પરિવાર મનુભાઈના આબાદ બચાવ માટે તેમજ નિ:સ્વાર્થ માનવતા માટે કામ કરનારા તમામનો આભાર માની રહ્યો છે. નોંધનીય વાત તો એ છે કે, આ વૃદ્ધને તરવાનો કોઈ ખાસ અનુભવ નહોતો તેમ છતાં તેઓ નદીમાં અંદાજીત 12 થી 15 કિલોમીટર ધસમસતા પ્રવાહમાં 4 થી 4:30 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા હતા. આમ આ કિસ્સો સાબિત કરે છે કે, "રામ રાખે તેને કોણ ચાખે.!!!"

ABOUT THE AUTHOR

...view details