- એક સાથે 5 વનરાજ પીપાવાવ પોર્ટ પર જોવા મળ્યા
- 5 પૈકી એક સિંહણ રેડિયો કોલરથી સુરક્ષિત હોવાનું જોવા મળ્યું
- પીપાવાવ પોર્ટ પર જોવા મળેલા તમામ સિંહ રાજુલા રેન્જના હોવાનું સામે આવ્યું
અમરેલીઃ ગીરના સિંહોને જાણે કે રાજુલા નજીક આવેલું પીપાવાવ પોર્ટ માફક આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયરલ થયા છે. રાત્રીના સમયે પીપાવાવ પોર્ટના માર્ગો પર એક સાથે 5 જેટલા સિંહો લટાર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે સમગ્ર મામલાને લઈને શેત્રુંજી રેન્જના નાયબ વન સંરક્ષક નિશા રાજ સાથેની ETV ભારતે કરેલી ટેલિફોનિક વાતચીતમાં સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાયો છે. જે સિંહો પીપાવાવ પોર્ટ પર લટાર મારતા જોવા મળી રહ્યાં છે. તે તમામ રાજુલા રેન્જના હોવાનું પણ સામે આવ્યું છે. રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં 3 જેટલી સિંહણોને રેડિયો કોલરથી સુરક્ષિત કરાઈ છે જે પૈકીની એક સિંહણ ગઈ કાલે રાત્રે પીપાવાવ પોર્ટ પર કેટલાક સિંહબાળ સાથે લટાર મારતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે
રાજુલા રેન્જ વિસ્તારમાં ૩૦ જેટલા સિંહોનું એક ગ્રુપ સતત જોવા મળી રહ્યું છે
રાજુલા નજીકમાં ૩૦ જેટલા સિંહનું એક જૂથ પાછલા કેટલાક વર્ષોથી સતત જોવા મળી રહ્યું છે. જેની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે સિંહોની ચહલ-પહલ સતત વધી રહી છે જેને કારણે તેના પર ચોક્કસ નજર રાખી શકાય તે માટે ગ્રુપની ત્રણ જેટલી સિંહણોને રેડિયો કોલરથી સુરક્ષિત કરવામાં આવી છે જેના થકી કોઈ પણ નવા વિસ્તારમાં સિંહો પરીવાર સાથે આવી ચડે તો તેની જાણ વનવિભાગને થઈ શકે છે અમે તેને સુરક્ષિત ફરી તેમના વિસ્તારમાં મોકલી શકાય રાજુલા અને જાફરાબાદ વિસ્તાર હવામાનની દ્રષ્ટિએ ઠંડકવાળો વિસ્તાર માનવામાં આવે છે. આ વિસ્તારમા ઠંડક હોવાને કારણે સિંહો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે જેથી આ વિસ્તારમાં સિંહોની ચહલ-પહલ અને તેની સંખ્યામાં પણ ચોક્કસ ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે જેની પાછળનું એક માત્ર કારણ આ વિસ્તારમાં જોવા મળતી ઠંડક અને રેવન્યુ વિસ્તારમાં પુરતા પ્રમાણમાં મારણ મળતું હોવાને કારણે રાજુલા રેન્જ અને પીપાવાવની આસપાસ સિંહ હવે મુક્ત રીતે દેખાતા જોવા મળી રહ્યાં છે