હાલ લંડનમાં રહેતા અને ભારતમાં પ્રત્યાર્પણની નજીક પહોંચી ચુકેલા માલ્યાએ કેટલાક ટ્વીટ કર્યા છે. તેણે જેટ એરવેઝ અને તેના સંસ્થાપક દંપતી નરેશ ગોયલ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
માલ્યાએ કહ્યું છે કે, ભલે અમે એકબીજાની હરિફાઈમાં હતા, પણ મારા મનમાં નરેશ અને અનિતા ગોયલ પ્રત્યે સહાનુભૂતિ છે. જેમણે જેટ એરવેઝને બનાવ્યું હતું, તેના પર ભારતે અત્યંત ગૌરવ અનુભવવો જોઈએ. ખૂબ સારી સેવા આપી રહેલી જેટ એરવેઝ મહત્વપૂર્ણ રૂટ પર વિમાન ચલાવી રહી હતી. પણ ભારતમાં આટલી બધી એરલાઈન્સ કંપનીઓને ધૂળ ફાંકવી પડે તેવી દુ:ખદાયક સ્થિતિ કેમ સર્જાઈ?
જેટ એરવેઝને કિંગફિશરના સૌથી મોટા હરિફ દર્શાવતાં માલ્યાએ સરકારી નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું કે, ભલે જેટ કિંગફિશરની સૌથી મોટી હરિફ હતી, પણ મને આટલી મોટી ખાનગી એરલાઈન્સની અસફળતા જોઈને ખરાબ લાગે છે. કારણ કે, સરકાર એરઈન્ડિયાને રાહત પેકેજના રૂપમાં સરકારી ખજાનામાંથી 35,000 કરોડ રુપિયા આપી ચુકી છે. PSUની આડમાં આ ભેદભાવ યોગ્ય નથી.
આજે સવારે કેટલાક ટ્વીટ કરીને માલ્યાએ ફરીથી બેંકોનું દેવું ચુકવાની વાત કરી હતી. એક ટ્વીટમાં તેણે લખ્યું કે, "મે કિંગફિશરમાં સૌથી મોટી રકમનું રોકાણ કર્યું હતું. તે ખૂબ ઝડપથી ભારતની સૌથી મોટી અને ખૂબ સારી એરલાઈન્સ બની ગઈ હતી. હા, એ વાત સાચી છે કે તેણે બેંકો પાસેથી લોન લીધી હતી. હું 100 ટકા રકમ ચુકવવાની ઓફર પણ કરી ચુક્યો છું. પરંતુ મારા પર અપરાધીનો થપ્પો લગાવી દેવામાં આવ્યો છે. શું એરલાઈન્સ કંપની બનાવવાને કારણે આવું થયું?"