- સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયામાં વિવિધ 17 પ્રોજેક્ટસનું લોકાર્પણ
- 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ વડાપ્રધાનના હસ્તે થશે
- કેવડીયા-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે
- કેવડીયામાં એકતા ક્રૂઝ સહિત પ્રવાસન આકર્ષણ કેન્દ્રો, હોમ સ્ટે પ્રોજેકટ, આદર્શ ગામ સહિતની સુવિધાઓ શરૂ થશે
અમદાવાદઃ વડાપ્રધાનના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર શુક્રવારને 30 ઓકટોબરે બપોર બાદ કેવડીયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી વડાપ્રધાનની સાથે જોડાવાના છે.
થીમ આધારિત પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થયા
બે વર્ષ અગાઉ 31 ઓક્ટોબર, 2018ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાને કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદા-જુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે, જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે.
30 ઓકટોબરે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન કેવડિયામાં 30મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલા જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.
PM એકતા ક્રૂઝમાં 40 મિનીટની રાઈડ કરશે
એટલું જ નહીં, સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે. કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
400 મકાનની આદર્શ ગામ વસાહતોનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે.
કેવડિયા એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે
કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે, ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના લગભગ 25 ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલા ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલા ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે.
31 ઓકટોબરે પીએમ મોદી રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે
તારીખ 31 ઓક્ટોબર, 2020ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે.
વડાપ્રધાન વોટર ડ્રોમનું ઉદઘાટન કરશે
વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નંબર.૩ના વોટર ડ્રોમનું ઉદઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.
3000 કુંટુબને રોજગારીની તક
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ ‘‘મિશન મોડ’’થી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલું છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત ત્રણ હજાર કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આજુબાજુ 100 કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને 2020-22 દરમિયાન અંદાજી રૂપિયા 9000 કરોડનો લાભ થશે.
કેવડિયામાં વિવિધ પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓઃ
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલા જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે. જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
એક્તા મોલ
દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફૂટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે, જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક 35,000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલ-ભુલૈયાં પણ છે.
યુનિટી ગ્લો ગાર્ડન
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહિં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.
કેકટ્સ ગાર્ડન
સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં આ ગાર્ડન પથરાયેલો છે. જેમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અહી પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
એક્તા નર્સરી
જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને અધ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી ‘‘એકતા હેન્ડીકાફ્રટ’’ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ‘‘સેલ્ફ-હેલ્પ ગૃપ’’ થકી 311 કુટુંબોને આર્થિક લાભ મળે છે.
ખલવાણી ઈકો-ટુરિઝમ
પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું આ એક ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે, જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે. અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. 4.5 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
આરોગ્ય વન
માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહીના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.
જેટ્ટીસ અને એકતા ક્રૂઝ