ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓપરેશન પાટીદાર: સોસાયટીઓથી લઈને જ્ઞાતિઓના આગેવાનો સાથે શાહની બેઠક - Lok Sabha 2019

અમદાવાદ: મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે. રવિવારની મોડી રાતથી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. તે પહેલા ભાજપનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પાટીદાર વિસ્તારોમાં ભાજપ દ્વારા ઓપેરશન પાટીદાર હાથ ધરવામાં આવશે અને બને એટલે પાટીદાર વોટ ભાજપને મળે તેવી વ્યૂહ રચના ભાજપે તૈયાર કરી છે

અમિત શાહ

By

Published : Apr 20, 2019, 5:01 PM IST

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે ભાજપથી નારાજ પાટીદારોને મનાવવા માટે સ્થાનિક આગેવાનોએ જોરશોરથી ઓપરેશન પાટીદાર શરૂ કર્યું છે. જેના ભાગરૂપે પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિધાનસભા મતક્ષેત્રમાં પ્રતિષ્ઠિત પાટીદાર આગેવાનો સાથે ખાનગી બેઠકો કરીને પાટીદારોને ભાજપ તરફી મતદાન કરાવવા માટેના પ્રયાસો શરૂ કર્યાં છે.

મહત્વનું છે કે, ગુજરાતના પાટીદારો છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ થયા છે, તેમાં પણ ખાસ કરી અમિત શાહ સામે સાથે વધુ નારાજગી હોવાની ચર્ચા ચાલી રહી છે. જો પાટીદારો અમિત શાહના કારણે ભાજપને મત ન આપે તો ભાજપ માટે ભારે નુકસાનકારક સાબિત થઇ શકે તેમ છે.

ભાજપને નુકસાનથી બચાવવા નારાજ પાટીદારોને મનાવવા માટે ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતીના પાટીદાર આગેવાનો અને કેટલીક મોટી સોસાયટીઓ કે, જ્યાં પાટીદાર મતદારો વધુ છે, ત્યાંના ચેરમેન અને સેક્રેટરીઓને મળીને પાટીદારોનું મતદાન વધે તે માટેના પ્રયાસો ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતી ઘાટલોડિયા નારણપુરા અને સાબરમતી વિધાનસભામાં કડવા પાટીદારોની સંખ્યા સૌથી હોવાથી ભાજપ દ્વારા સ્થાનિક પાટીદાર આગેવાનો ઉપરાંત કડવા પાટીદાર સમાજના આગેવાનોને આગળ કરીને ગ્રુપ મીટિંગ બોલાવી ભાજપ તરફી મતદાન કરવા માટેના મનામણા ચાલુ કરવામાં આવ્યા છે.

છેલ્લા ઘણા વર્ષોથી લોકસભા હોય કે વિધાનસભા ઘાટલોડિયા નારણપુરા અને સાબરમતી વિધાનસભામાં સૌથી વધુ મતદાન થતું આવ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ એક બનીને ભાજપ તરફી મતદાન કરતો આવ્યો છે. પરંતુ આ વખતે પાટીદાર સમાજ નારાજ હોવાથી જો ભાજપને મત ન આપે અને નિષ્ક્રિય રહે અથવા તો NOTAમાં મત નાંખી દે તો ભાજપને એટલે કે અમિત શાહને જંગી લીડ મળવી મુશ્કેલ થઈ શકે છે, જ્યારે ભાજપનો ટાર્ગેટ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સમગ્ર દેશમાં સૌથી વધુ લીડ અપાવવાનો છે.

વર્ષ 2014 લોકસભા ચૂંટણીના પરિણામો ઉપર નજર નાખીએ તો ભાજપના ઉમેદવાર એલ.કે.અડવાણીને સૌથી વધુ મત 1,78,931 ઘાટલોડિયા વિસ્તારમાંથી મળ્યા હતા અને સૌથી ઓછા મત 73,786 કલોલ વિસ્તારમાંથી મળ્યા હતા. આ પરિણામોમાં ગાંધીનગર મતવિસ્તારની હદમાં આવતા અમદાવાદના વિધાનસભા વિસ્તારો નિર્ણાયક રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details