જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા સામે હાઇકોર્ટમાં કરવામાં આવેલી અપીલનો રાજ્ય સરકાર દ્વારા વિરોધ કરાયો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે સંજીવ ભટ્ટે તેમને અગાઉ મળેલા જામીન અને કોર્ટ તરફથી મળેલી રાહતોનો દુરૃપયોગ કર્યો છે.
જામનગર કસ્ટડીયલ ડેથ કેસઃ સંજીવ ભટ્ટ સુપ્રીમમાં જામીન અરજી કરે તેવી વકી - હાઈકૉર્ટમાં સંજીવ ભટ્ટની જામીન અરજી
અમદાવાદઃ વર્ષ 1990 જામનગર કસ્ટડીયલ ડેથ કેસમાં સ્થાનિક સેશન્સ કોર્ટ દ્વારા પૂર્વ આઇ.પી.એસ. સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરતાં હાઇકોર્ટે અરજી ફગાવી હતી. જેથી હવે સંજીવ ભટ્ટ આગામી સપ્તાહ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ અંગે હાઇકોર્ટે પણ સંજીવ ભટ્ટના વલણની ટીકાઓ કરી સજા મોકૂફ રાખવાની અરજી ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં બનાસકાંઠાના જીલ્લા પોલીસવડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસમાં હાલ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં સપ્ટેમ્બર-2018થી બંધ છે.
જામનગર જિલ્લામાં વર્ષ 1990માં એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેના કાર્યકાળ દરમિયાન જામજોધપુરમાં તોફાનો ફાટી નીકળતા 134 આરોપીઓની અટકાયત કરાઇ હતી. જેમાં પ્રભુદાસ વૈષ્નાણી નામના આરોપીનું લોકઅપમાં મોત થયું હતું. આ કેસમાં જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.