અમદાવાદ :ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ તેમજ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કેસ કમિટ કરી દેવામાં આવ્યો છે. આજે આ કેસ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે આ કેસમાં કાર્યવાહી દરમિયાન આરોપીઓ તરફથી ઝીલ શાહે વકીલાત પત્ર રજૂ કર્યું હતું. જ્યારે આરોપી પ્રજ્ઞેશ પટેલ તરફથી સોમનાથ વત્સ તરફથી વકીલાતનામું રજૂ કરવામાં આવ્યું હતું.
આરોપીના મોબાઈલમાં શું ? આરોપીઓના તરફથી આ દરમિયાન કાર તેમજ પ્રજ્ઞેશ પટેલના મોબાઇલનો કબજો મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કોર્ટ દ્વારા સરકારને પ્રશ્ન કરવામાં આવ્યા હતા કે, કેમ હજુ સુધી આ ફોન રાખવામાં આવ્યો છે ? જેમાં જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે, અમુક વિગતો હજી ફોનમાંથી મેળવવાની બાકી છે. માટે આ ફોન હજી સુધી રેકોર્ડ પર રાખેલો છે.
તથ્યએ અભ્યાસની માંગ કરી : અત્રે મહત્વનું છે કે, આરોપી તથ્ય પટેલે ભણવાની સામગ્રી પૂરી પાડવા માટે જે અરજી કરી હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, ભણવાની સામગ્રી માટે લાઇબ્રેરીનો ઉપયોગ કરો. જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્ય અભ્યાસ માટે જેલ લાઇબ્રેરી ઉપયોગ કરી શકશે. જ્યારે સરકાર તરફથી આજે દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
આગામી સુનાવણી : આગામી 5 સપ્ટેમ્બરે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ત્યારે બંને આરોપીઓ સામે હવે ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ કોર્ટની ટ્રાયલ શરૂ થશે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી પાંચ સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. અત્રે મહત્વનું છે કે, ગઈકાલે બંને આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રજ્ઞેશ પટેલે વકીલ રોકવાની માંગણી કરી હતી. જોકે આરોપીઓ તરફથી ઝીલ શાહ એડવોકેટ હાજર રહ્યા હતા. પરંતુ વકીલાત પત્રમાં પિતા-પુત્રની સહી ન હતી, માટે જેલમાં જઈને તેમણે સહી લીધા બાદ આજે વકીલાતપત્ર રજૂ કર્યું હતું.
આરોપી પર ગુના કેટલા ? અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 9 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કારચાલક તથ્ય પટેલ સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.
- ISKCON Bridge Accident Case : તથ્ય પટેલને જામીન અપાવવા વકીલની દલીલોને મજબૂત પડકાર આપતાં સરકારી વકીલ, 24મીએ ચૂકાદો
- Iskcon Bridge Accident Case: પ્રગ્નેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે, કેસની વધુ સુનાવણી 1 સપ્ટેમ્બરે થશે