ગુજરાત

gujarat

By

Published : Nov 13, 2019, 6:42 PM IST

ETV Bharat / state

ઈશરત જહાં કેસ: આરોપીઓ વિરૂધ કેસ ચલાવવાની મંજૂરી મુદ્દે CBI વલણ સપષ્ટ કરે- કોર્ટ

અમદાવાદઃ વર્ષ 2004 ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી વણઝારા, એન.કે અમીન સહિત ત્રણ આરોપીઓને કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જે બાદ આ કેસના અન્ય 4 આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરાઇ હતી. તે મુદ્દે બુધવારે સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી. જેમાં અગાઉ વણઝારા, એન.કે અમીન સહિત આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે, તો અમને કેમ નહીં...

ઈશરત જહાં કેસ

આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, તમામ આરોપીઓ પર ષડયંત્રના ચાર્જ લગાડવામાં આવ્યા છે, ત્યારે કોર્ટે તેમના પર કઇ રીતે ચાર્જ ફ્રેમ કરશે. અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર CBI પોતાનો વલણ આગામી 26 નવેમ્બર સુધીમાં સ્પષ્ટ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે આ અગાઉ CBIને CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની મંજૂરી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજીવાર આ કેસની સુનાવણી કોઇ કારણોસર ટળી હતી.

આ કેસમાં 21મી સપ્ટેમ્બરે CBI દ્વારા કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં CBIએ 4 પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ષડયંત્ર, હત્યા સહિતના ગુનાઓ દાખલ થયા હોવાથી તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. CBIએ ચાર પેજના લેખિત જવાબમાં ડી.જી વણઝારા અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની CRPCની કલમ 197 મુજબ પરવાનગી આપી ન હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ અન્ય 4 આરોપીઓ જયસિંહ પરમાર, ગિરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરૂણ બારોટ દ્વારા દોષમુક્ત જાહેર કરવા CBI કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં સંડોવાયેલા ડી.જી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂદ્ધ CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અગાઉ કોર્ટમાં ઇશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજૂ કરતાં જણાવ્યું હતું કે, CRPCની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલા કેસ ડ્રોપની અરજી સાથે કોઇ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે, બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા પણ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરાઇ નથી. ઇશરત અને તેના સાગરીતોની ધરપકડ થઇ શકતી હતી. પરંતુ, તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર નજીક મુંબઇની ઇશરત જહાં, જાવેદ શેખ, અમજદઅલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details