અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે સરફેસી એક્ટ-2020ના નિયમને લગતા કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, સરફેસી એક્ટના નિયમ-9માં પણ મિલ્કતની હરાજીની તારીખથી 3 મહિના સુધીમાં જ બેન્કે ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરવો તેવી કોઈ જોગવાઈ નથી.
હાઈકોર્ટે બેંકને હરાજીમાં મૂકાયેલી મિલ્કતના વેચાણની પુષ્ટિ કરાયાની તારીખના ત્રણ મહિના સુધીનાં સમયગાળામાં ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરવાનો આદેશ કર્યો છે. અરજદાર દ્વારા બાકી નીકળતા રકમની સમય મર્યાદા વધારવાની અરજીના જવાબમાં બેંક ઓફ બરોડા તરફે રજૂ કરાયેલા જવાબમાં બેન્કે મિલ્કતની હરાજીની તારીખથી 90 દિવસનો સમયગાળો વધારી આપ્યો હતો. જો કે, હાઈકોર્ટે તેમાં પણ ભૂલ હોવાનું જણાવતા અવલોકન કર્યું હતું કે, બેન્કે વેચાણ પુષ્ટિ કરાયાની તારીખથી 90 દિવસ નહિ પરતું 3 મહિનાનો સમય ફાળવવો જોઈએ.
હાઈકોર્ટે ચૂકાદામાં ટાંક્યુ હતું કે, સિક્યુરિટી ઈન્ટરેસ્ટ રૂલ્સ-2002ના નિયમ-9(4) મૂજબ સ્થવાર મિલ્કતના કેસમાં પહેલાં પાર્ટમાં વેચાણની પુષ્ટિ કરાયાની તારીખના 15 દિવસ સુધીમાં બેન્ક ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમનો સ્વીકાર કરી શકે છે, જ્યારે નિયમનો બીજો પાર્ટ એવો છે કે, જો ખરીદનાર અને લેણદાર વચ્ચે બાકી નીકળતી રકમ અંગે લેખિતમાં સહમતિ થઈ હોય ત્યારે બેંક ખરીદનારને ત્રણ મહિના સુધીનો સમય વધારી આપી શકી છે.
નિયમના બીજા ભાગમાં કે જેમાં લેખિત સહમતી બાદ 3 મહિના સુધીનો સમય વધારી આપવાની જોગવાઈ છે, તેમાં હરાજીની તારીખથી ત્રણ મહિના કે હરાજી કરાયેલી મિલ્કતના વેંચાણ પુષ્ટિની તારીખથી ત્રણ મહિના સુધી બેંક ખરીદનાર પાસેથી બાકી નીકળતી રકમ સ્વીકારી શકે તેવી કોઈ સ્પષ્ટતા નથી. હાઈકોર્ટે નિયમોની જોગવાઈમાં મિલ્કતની હરાજીની તારીખથી 3 મહિના સુધીનો કોઈ ઉલ્લેખ ન હોવાથી વેચાણ પુષ્ટિ કરાયાની તારીખના 3 મહિના સુધીમાં બેંકને ખરીદનાર પાસેથી પૈસા સ્વીકારવાનો આદેશ કર્યો છે.