ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યની તમામ સરકારી બી.એડ. કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડવામાં આવશે - Gujarat

અમદાવાદ: રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી સરકારી બી.એડ. કોલેજ એટલે કે ‘ડાયેટ’ને હવે દરેક યુનિવર્સિટીઓમાંથી દૂર કરીને ગાંધીનગર સ્થિત ‘ટીચર્સ યુનિવર્સિટી’ સાથે જોડવામાં આવશે. હાલ પહેલા તબક્કામાં સરકારી બી.એડ. કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે સાંકળી દેવામાં આવશે.

ફાઇલ ફોટો

By

Published : May 7, 2019, 12:18 PM IST

ભવિષ્યમાં તમામ ગ્રાન્ટેડ કોલેજોને પણ આ રીતે એક જ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવે તેવી શકયતા છે. યુનિવર્સિટીના કુલપતિ બદલાતાની સાથે જ અનેક નવા સમીકરણો આકાર લઇ રહ્યા છે. ભૂતકાળમાં આ પ્રકારની વાતો વહેતી થતા અનેક વિવાદો ઉભા થયા હતા. પરંતુ આ વખતે સરકારે પણ આ નિર્ણયમાં સહમતી આપતા આગામી દિવસોમાં યુનિવર્સિટી અન્ય કોલેજને જોડાણ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં કુલ 19 સરકારી બી.એડ. કોલેજો જુદી જુદી 9 યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત એક સરકારી એમ.એડ કોલેજ પોરબંદરમાં આવેલી છે. જેથી કુલ 20 જેટલી સરકારી B. Ed.,M.Ed. કોલેજો હાલ અસ્તિત્વમાં છે. આ તમામ બી.એડ. કોલેજોને હવે રાજ્યની ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવશે. ટીચર્સ યુનિવર્સિટી અસ્તિત્વમાં આવ્યા બાદ અન્ય કોઇ બી.એડ. કોલેજોને જોડાણ આપી શકે તેમ નહોતી. જેના કારણે આજસુધી એકપણ બી.એડ. કોલેજને આ યુનિવર્સિટી સાથે જોડવામાં આવી નહોતી.

તાજેતરમાં ટીચર્સ યુનિવર્સિટીના નવા કુલપતિની નિયુક્તિ બાદ સરકારી બી.એડ. કોલેજોને આ યુનિવર્સિટી સાથે જોડવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.મહત્વની વાત એ કે સરકાર દ્વારા પણ આ પ્રકારના જોડાણને પ્રાથમિક મંજુરી આપી દેવામાં આવી છે.

હાલ સરકારી કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડાવામાં આવ્યા બાદ ભવિષ્યમાં રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ બી.એડ. કોલેજોને પણ ટીચર્સ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. રાજ્યની સ્વનિર્ભર બી.એડ. કોલેજોને બાદ કરતા તમામ સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ. કોલેજો એક જ યુનિવર્સિટી સાથે જોડી દેવામાં આવશે.

નોંધનીય બાબત એ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે સરકારી બી.એડ. કોલેજ એટલે કે ડાયેટને આ યુનિવર્સિટી સાથે જોડી દેવાશે તેવી શકયતા ઉભી થઇ હતી પરંતુ જે તે સમયે આ યુનિવર્સિટી માત્ર કેમ્પસ યુનિવર્સિટી તરીકે સ્થાપિત હોવાના કારણે આ પ્રકારની કોઇ કાર્યવાહી થઇ શકી નહોતી. હવે અચાનક યુનિવર્સિટીના કુલપતિ બદલાતાની સાથે જ સરકારે તમામ ડાયેટ સંસ્થાઓને આ યુનિવર્સિટી સાથે જોડી દેવા માટે લીલી ઝંડી આપી દીધી છે.

તો આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું કે નિયમ પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવશે. સ્વનિર્ભર બી.એડ. કોલેજોને યુનિવર્સિટી સાથે જોડાવાની કોઇ શકયતા નથી.

ABOUT THE AUTHOR

...view details