ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશુભાઈ પટેલની સંઘર્ષમય રાજકીય સફર પર એક નજર... - ગુજરાત પરિવર્તન પાર્ટી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે આજે ગુરુવારે નિધન થયું છે. આ સમાચાર સાંભળીને ગુજરાત શોકમય બન્યું છે. કેશુભાઈ પટેલ ‘બાપા’ના નામે ઓળખાતા હતા. તેમની રાજકીય સફરની જો વાત કરીએ તો તેમણે ગુજરાતના વિકાસમાં અને સેવા કરવામાં જિંદગી વિતાવી છે. આવો આપણે તેમની રાજકીય સફર પર એક નજર કરીએ…

Keshubhai Patel
Keshubhai Patel

By

Published : Oct 29, 2020, 2:59 PM IST

Updated : Oct 29, 2020, 4:51 PM IST

  • કેશુભાઈ 1945માં RSSમાં જોડાયા
  • 1960માં જનસંઘના કાર્યકર બન્યા
  • 1995માં ગુજરાતના 10માં મુખ્યપ્રધાન બન્યા

અમદાવાદ : કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ, 1928માં જૂનાગઢના વિસાવદરમાં થયો હતો. તેઓ 1945માં 17 વર્ષની વયે પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં જોડાયા હતા. 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કારર્કિદીનો પ્રારંભ કર્યો હતો. તેમણે કટોકટી વખતે જેલવાસ પણ ભોગવ્યો હતો. 1978થી 1995ના સમયગાળામાં કેશુભાઈ કાલાવડ, ગોંડલ અને વિસાવદરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી 1980માં જનસંઘનું વિલિનીકરણ થયું હતું. ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાયા હતા. 1995માં વિધાનસભા ચૂંટણી જીતીને ભાજપને જોરદાર જીત અપાવી હતી.

1995માં ગુજરાતના 10માં મુખ્યપ્રધાન બન્યા

વર્ષ 1995માં મુખ્યપ્રધાન બન્યા પછી 8 મહિનામાં રાજીનામુ આપવું પડયું

કેશુભાઈ માર્ચ 1995માં ગુજરાતના 10માં મુખ્યપ્રધાન બન્યા હતા. પણ તે વખતના સાથી પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાધેલાએ બળવો કરતાં કેશુભાઈ પટેલને 8 મહિનામાં જ રાજીનામુ આપી દેવું પડ્યું હતું. અને તે પછી 1998માં ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર રચાઈ અને તેઓ ફરી મુખ્યપ્રધાન બન્યા હતા.

1960માં જનસંઘના કાર્યકર બન્યા

કેશુભાઈ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી માંડીને મુખ્યપ્રધાન પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ કર્યો હતો. તેમના જીવનમાં પહેલા પત્ની ગુમાવી અને ત્યાર બાદ ત્રણ વર્ષમાં બે દીકરા ગુમાવ્યા હતા.

કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન પદની બે ટર્મ પુરી કરી શકયા ન હતા

કેશુભાઈ પટેલ 1995માં અને વર્ષ 1998થી 2001 સુધી એમ બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહી ચુક્યા છે. આ ઉપરાંત કેશુભાઈ પટેલ 6 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એક વખત લોકસભા અને એક વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ફરજ બજાવે છે. કેશુભાઈ પટેલ 1995 અને 1998માં મુખ્યપ્રધાન રહ્યા, પણ તેઓ બન્ને વખત ટર્મ પુરી કરી શક્યા ન હતા. 2001માં મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને તે પછી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યાર પછી 2002ની ચૂંટણીમાં કેશુભાઈએ ઉમેદવારી કરી ન હતી. 2002માં તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.

કેશુભાઈની ગોકળિયુ ગામ યોજના લોકપ્રિય બની

કેશુભાઈ મુખ્યપ્રધાન રહ્યા ત્યારે તેમના કાર્યકાળમાં ગોકળિયું ગામ યોજના જાહેર કરી હતી. જેમાં ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાઓ ઉભી કરવાનો તેમનો ઉદેશ્ય હતો. ગોકળિયુ ગામ યોજનાના ખૂબ વખાણ થયા હતા, તેને ગ્રામ્ય વિસ્તારોએ આવકારી હતી. ત્યારથી કેશુભાઈ ગ્રામ્ય લેવલે વધુ લોકપ્રિય બન્યા હતા.

કૃષિ પ્રધાન તરીકે સેવા આપી

વર્ષ 1977માં કેશુબાપા રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ તેમણે રાજીનામું આપી બાબુભાઈ પટેલની જનતા મોર્ચા સરકરામાં 1978થી 1980 સુધી કૃષિ પ્રધાન તરીકે સેવા આપી હતી. PM મોદીએ વડાપ્રધાન બન્યા બાદ કેશુબાપાને ભાજપનો રથ હાંકનારા સારથી કહ્યા હતા.

2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામે નવો રાજકીય પક્ષ સ્થાપ્યો

2012માં ભારતીય જનતા પાર્ટી સાથે મનદુઃખ થતાં તેમણે ભાજપ છોડ્યું હતું અને ઓગસ્ટ, 2012માં કેશુભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત પરિવર્તન પાર્ટી(જીપીપી) નામે નવો રાજકીય પક્ષ રચ્યો હતો. તેમાં તેમને ઝાઝી સફળતા ન મળી.જાન્યુઆરી-2014માં તેમણે જીપીપીના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં જીપીપીનું ભાજપમાં વિલિનીકરણ કરી દેવામાં આવ્યું અને 2014માં કેશુભાઈની નાદુરસ્ત તબિયતને કારણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.


કેશુબાપાએ જેલવાસ ભોગવ્યો
વડાપ્રધાન મોદી કેશુભાઈ પટેલને મુરબ્બી અને બાપા તરીકે સમ્માન આપતા

પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપા અને વડાપ્રધાન મોદીએ વર્ષો સુધી સાથે કામગીરી કરી છે. આ કામગીરી દરમિયાન વડાપ્રધાન મોદી કેશુબાપાને મુરબ્બી અને બાપા તરીકે સમ્માન આપતા હતા.

કેશુભાઈ પટેલની સંઘર્ષમય રાજકીય સફર પર નજર કરીએ

30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીની પ્રાથના સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરાવામાં આવી હતી. જેથી તાત્કાલીન ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ ફાટી નીકળ્યો હતો. આ વિરોધમાં કેશુબાપા પણ જોડાયા હતા અને રાજકોટમાં સરઘસ કાઢ્યું હતું. જેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ થવાના કારણે કેશુબાપા મેટ્રીકની પરીક્ષા આપી શક્યા નહોતા.

કેશુભાઈ દેસાઈ અટક લખતા હતા

કેશુબાપા પહેલા પોતાના નામ સાથે દેસાઈ અટક લખતા હતા, પરંતુ પાટીદાર મતદારોને પોતાના તરફ આકર્ષવા ચીમનભાઈ શુક્લ જેવા નેતાઓએ કેશુભાઈની અટલ બદલીને પટેલ કરાવી નાખી હતી.

કેશુબાપાની રાજકીય સફર

  • 1978થી 1995 દરમિયાન કાલાવડ, ગોંડલ, વિસાવદર બેઠક પર ચૂંટણી જીત્યા
  • 1990માં ભાજપે ચીમનભાઈ પટેલના જનતા દળ સાથે સમજૂતી કરી
  • 1995માં કેશુબાપાના નૈતૃત્વમાં ભાજપને ઐતિહાસિક 121 બેઠકોની જંગી જીત મળી
  • 1998માં ફરી ગુજરાતમાં ભાજપની સરકાર બની
  • ઓક્ટોબર 2001માં ભૂંકપમાં નબળી કામગીરીના આક્ષેપ થવાથી કેશુબાપાએ રાજીનામું આપ્યું
  • 2020માં રાજ્યસભા સાંસદ તરીકે બિન-હરીફ ચૂંટાયા
  • 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના
  • 2012માં વિસાવરદર બેઠક પરથી જીત
  • 2014માં રાજકીય સન્યાસ લીધો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શ્રદ્ધાંજલિ પાઠવી

રાષ્ટ્રપતિ રામનાથ કોંવિંદે કેશુબાપાને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જેમાં તેમણે લખ્યું કે, શ્રી કેશુભાઇ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. એનું લાંબુ જાહેરજીવન લાખો લોકો, ખાસ કરીને ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અનસાન પર શોક વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું કે 'કેશુભાઇએ જનસંઘ અને ભાજપને મજબૂત કરવા ગુજરાતમાં લાંબી યાત્રા કરી હતી. ખેડૂત કલ્યાણના પ્રશ્નો તેના હૃદયની નજીક હતા. ધારાસભ્ય, સાંસદ, પ્રધાન કે મુખ્યપ્રધાન પદ સંભાળતાં તેમણે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી.

ગૃહપ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કર્યો

ગૃહ પ્રધાન અમિત શાહે શોક વ્યક્ત કરીને કહ્યું કે, કેશુભાઈનું જીવન હંમેશા જનતાને સમર્પિત રહ્યું, સંગઠનને તેમણે હંમેશા સર્વોપરી માન્યું હતું. તેમનું અવસાન રાજનીતિ માટે મોટી ખોટ છે.

કેન્દ્રીય પ્રધાન ડૉ. હર્ષવર્ધને પાઠવી શ્રદ્ધાંજલિ

ડૉ. હર્ષવર્ધને ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય રાજનીતિના એક યુગનો અંત થયો છે. કેશુભાઈ પટેલનું અવસાન માત્ર ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશમાટે ન પૂરી શકાય તેવી ખોટ છે. દેશ કેશુભાઈને સાચાવ રાષ્ટ્રવાદી અને દીર્ધદ્રષ્ટી જનનેતા તરીકે હંમેશા યાદ રાખશે.

ભાજપના વટવૃક્ષ હતાઃ રૂપાણી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાજંલિ આપી ત્યારે તેમણે કહ્યું હતું કે કેશુભાઈ ગુજરાતમાં જનસંઘથી ભાજપનું વટવૃક્ષ હતા. તેમણે સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં ન્યોછાવર કર્યું હતું. તેમના જવાથી ભાજપને ખૂબ મોટી ખોટ પડી છે.

Last Updated : Oct 29, 2020, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details