અમદાવાદ : હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, 1967માં રાજ્ય સરકાર દ્વારા 36 ખેડૂતોને આ જમીન આપવામાં આવી હતી. બનાસકાંઠાના કલેક્ટરે વર્તમાન જમીનધારકોના પૂર્વજના નામે જમીનની કાયમી ધોરણે ફાળવણી કરી હતી. વર્ષ 1974માં ડેપ્યુટી કલેક્ટરે ખેતી ન કરવાની શરત ભંગે 36 ખેડૂતો વિરૂધ આદેશ પાડવામાં આવ્યો હતો.
પાકિસ્તાનથી ગુજરાત આવેલા ખેડૂતનું નામ જમીનના રેકોર્ડમાં સામેલ ન કરાતા હાઈકોર્ટમાં રિટ - અમદાવાદ
1947માં દેશના ભાગલાના સમયે પાકિસ્તાન છોડીને બનાસકાંઠામાં આવેલા ખેડૂતોને રાજ્ય સરકાર તરફે આપવામાં આવેલી જમીન 53 વર્ષ બાદ પણ ખેડૂતનું નામ રેકોર્ડમાં સામેલ ન કરાતા હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટ મુદે જસ્ટીસ બિરેન વૈષ્ણવે આ મુદે બનાસકાંઠા કલેક્ટર અને યોગ્ય સતાધીશોને 8 સપ્તાહમાં નિર્ણય લેવાનો આદેશ કર્યો છે.

જેમાં ડેપ્યુટી કલેક્ટરના આદેશે બનાસકાંઠા કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા કલેક્ટરનો આદેશ તમામ 36 ખેડૂતોને લાગુ પડે છે. પરતું અરજદાર ખેડૂતના પૂર્વજનું નામ લેન્ડ રેકોર્ડમાં હજી સુધી સામેલ કરાયું ન હોવાથી હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, દેશના ભાગલા સમયે પાકિસ્તાનના કરાચીથી બનાસકાંઠા આવેલા ખેડૂતોને ખેતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1967માં 316 એકર જમીન ફાળવી આપી હતી. જે પૈકી 14 ખેડૂતોને 140 એકર અને 20 ખેડૂતોને 176 એકર જમીન આપવામાં આવી હતી. 7 એકર ફાળવેલી જમીનધારક ખેડૂતના પૂર્વજનું નામ આજ સુધી રેકોર્ડમાં દાખલ ન કરાતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.