આજે પણ ધાર્મિકલાલ પંડ્યાના આખ્યાનમાં તેમના અવાજનો રણકો નવયુવાનને શરમાવે તેવો છે. હાલ 87 વર્ષની ઉંમરે પણ આખ્યાનનું રસપાન એટલી જ ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે કે બસ તમે સાંભળ્યા જ કરો…
ધાર્મિકલાલ પંડ્યા મુળ વડોદરાના છે. તેમની માતાનું નામ શારદાબહેન અને પિતાનું નામ ચુનીલાલ ગોવિંદલાલ પંડ્યા છે. તેમનો જન્મ વડોદરામાં 11 ઓગસ્ટ 1932માં થયો હતો. ધાર્મિકલાલ પંડ્યાએ ખૂબ સંઘર્ષ વેઠીને તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી આ માણભટ્ટની કળા શીખ્યા છે. તેઓ તેમના પિતાશ્રીને તેમને ગુરુ માને છે. તેમણે એવી કોઈ તાલીમ પણ મેળવી નથી. પ્રભુ કૃપાથી અને અભ્યાસથી તે માણ વગાડીને આખ્યાન તેમજ કથા કરી રહ્યા છે. ડિજિટલના યુગમાં નવયુવાનો કથા સાંભળવા આવે છે, તે જોઈને તેઓ હર્ષની લાગણી અનુભવે છે.