અમદાવાદ: હાઈકોર્ટમાં પોલીસ તરફે રજૂ કરાયેલા સોંગદનામાં જણાવ્યું હતું કે, 2015માં પાટીદાર અનામત આંદોલન થયેલી હિંસા બાદ 55 FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ 2016માં ઉનાકાંડની ઘટના બાદ થયેલી હિંસા પછી 28 રેલીઓ થઈ અને 336 લોકોની અટકાયત કરવામાં આવી હતી. 2018માં સાબરકાંઠામાં પર-પ્રાંતીય દ્વારા બાળકી પર કરાયેલી દુષ્કર્મની ઘટના બાદ થયેલી હિંસા પછી 18 FIR દાખલ કરવામાં આવી હતી. પદમાવતી ફિલ્મના વિરોધમાં તોડફોડની ઘટના થઈ હતી, અને 2019માં CAA - NRCના વિરોધ દરમિયાન થયેલી હિંસા અને નિત્યાનંદ આશ્રમ વિવાદ સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વારંવાર કલમ 144 લાગુ કરવી પડે છે. અમદાવાદ સિવાય રાજ્યના અનેક શહેરોમાં પણ હિંસા અને પડઘા પડતા હોવાથી ત્યાં પણ 144 લાગુ કરવામાં આવે છે.
હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા રજૂ કરાયેલા સોંગદનામાં રજૂઆત કરવામાં આવી છે કે, ગત વર્ષે જાહેર કાર્યક્રમ માટે પોલીસને 7,540 અરજીઓ મળી હતી. જેની સામે પોલીસ દ્વારા 7,240 જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે 96 ટકા જેટલું થાય છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા CAA-NRCના વિરોધ માટે 10 કાર્યક્રમોની મંજૂરી પણ આપી છે. હાલમાં પણ બાપુનગર-ગોમતીપુર અને અન્ય સ્થળે ધરણાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે 144 લાગુ કરાય છે. 10મી જાન્યુઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા જે ધારા 144નું સોંગદનામું રજૂ કરવામાં આવ્યું, તે સમાચાર અને અન્ય પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે તેની નકલ દરેક પોલીસ સ્ટેશનને મોકલવામાં આવી છે. પોલીસે ચોરીની ઘટનાઓને ડામવા, ટ્રાફિક મેનેજમેન્ટ સહિતની બાબતો માટે કલમ 144 જરૂરી હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ. એચ. વોરાએ મહત્વનું અવલોકન કરતાં નોંધ્યું હતું કે, શહેરમાં પાછલા ત્રણ વર્ષથી લાગુ ધારા 144નો અર્થ એવો પણ થાય છે, કે લોકો અહીં સલામત નથી. આટલા લાંબા સમયથી 144 લાગુ કેમ છે, એ મુદ્દે સરકાર બે દિવસમાં જવાબ રજૂ કરે.