ગાંધીનગર :ગુજરાતના જખૌ બંદરે બિપરજોય વાવાઝોડું રાત્રે 9થી 10 કલાક વચ્ચે ટકરાવાની શકયતાઓ છે, ત્યારે આ વાવાઝોડાઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સનું (MPCS) નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
Cyclone Biparjoy : વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 1521 શેલ્ટર હોમ્સ તૈયાર, હજારો લોકોનું સ્થળાંતર - બિપરજોય વાવાઝોડા સમાચાર
વાવાઝોડાને પગલે રાજ્ય સરકારે લોકોની સલામતી માટે દરિયાકિનારાના વિસ્તારમાં 1521 શેલ્ટર હોમ્સ બનાવ્યા છે. કુલ 8 જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. તેમજ શેલ્ટર હોમ્સમાં મેડિકલ ટીમ દ્વારા મુલાકાત પણ કરવામાં આવી રહી છે.
![Cyclone Biparjoy : વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 1521 શેલ્ટર હોમ્સ તૈયાર, હજારો લોકોનું સ્થળાંતર Cyclone Biparjoy : વાવાઝોડાના પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં 1521 શેલ્ટર હોમ્સ તૈયાર, હજારોથી લોકોનું સ્થળાંતર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18759958-thumbnail-16x9-striking.jpg)
ક્યાં જિલ્લામાં કેટલા શેલટર હાઉસ : સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે. કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારના 8 જિલ્લાઓમાં 1521 શેલ્ટર હોમ્સ તાત્કાલિક ધોરણે ઉભા કરવામાં આવ્યા છે, જેમાં જૂનાગઢમાં 196, કચ્છમાં 173, જામનગરમાં 56, પોરબંદરમાં 140, દેવભૂમિ દ્વારકામાં 182, ગીર સોમનાથમાં 507, મોરબીમાં 31 અને રાજકોટમાં 236 શેલ્ટર હોમ્સ ઊભા કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમ દ્વારા આ શેલ્ટર હોમ્સની નિયમિત વિઝીટ કરવામાં આવી રહી છે અને ત્યાં સ્થળાંતરિત કરાયેલા લોકોની આ ટીમ દ્વારા યોગ્ય આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
94,000 લોકોનું સ્થળાંતર :સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે વાવાઝોડાથી ભયગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોના સ્થળાંતર પર ભાર મૂક્યો છે અને 8 જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં કુલ 94 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા કચ્છમાં 46,823, જૂનાગઢમાં 4864, જામનગરમાં 9942, પોરબંદરમાં 4379, દેવભૂમિ દ્વારકામાં 10,749, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6822 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 94,427 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 8930 બાળકો, 4697 વૃદ્ધો અને 1131 સગર્ભા મહિલાઓનો સમાવેશ થાય છે.