ગુજરાત

gujarat

અમદાવાદઃ કાલુપુર સ્ટેશન પર કુલીઓની હાલત કફોડી, 3 મહિનાથી કોઈ આવક નહીં

By

Published : Jul 12, 2020, 11:01 AM IST

કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર ફેલાયેલો છે. આ મહામારીના કારણે ભારતમાં પણ બે મહિના સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. 22 માર્ચે શરૂ થયેલા લોકડાઉનમાં તમામ પ્રકારની પરિવહન સેવાઓ બંધ કરવામાં આવી હતી. પરિણામે પરિવહન સેવા સાથે સંકળાયેલા અનેક લોકો બેરોજગાર રહ્યાં હતા. જ્યારે આ સેવા સાથે સંકળાયેલ મજૂરોની હાલત પણ કફોડી બની છે.

ahmedabad
કોરોના

કાલુપુર રેલવે સ્ટેશન પર કુલીઓની હાલત કફોડી

ગુજરાતના ભાગે 10 પેસેન્જર ટ્રેન આવતા કુલીઓની આવકમાં ઘટાડો

કપરા સમયમાં રાહત પેકેજ આપવા માંગ ઉઠી

અમદાવાદ: કોરોના વાઇરસના કારણે બે મહિનાના લોકડાઉન અને ત્યારબાદ અનલોક પ્રક્રિયાને લગભગ દોઢ મહિનો વિતી ચૂક્યા હોવા છતાં લોકોને ધંધા અને રોજગારના હજી પણ ફાંફા છે, ત્યારે ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. ભારતીય અર્થતંત્રનું હાર્દ અને પરિવહન સેવાની ધોરી નસ સમાન રેલવે વ્યવસ્થા સાથે સંકળાયેલ મજૂરોની પણ આવી જ હાલત જોવા મળી રહી છે.

એક સમયે રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરતા જ મોટા પ્રમાણમાં ચહલપહલ જોઈ શકાતી હતી અને લાલ કપડા ધારી કુલીઓ તમારી પાસે આવીને રેલગાડીમાં તમારો સામાન મૂકવાની અરજ કરતા, જેમની આજે હાલત ખૂબ જ કફોડી બની છે. લોકડાઉનમાં તમામ પ્રકારની પેસેન્જર સેવાઓ બંધ રહી હતી. જેને લઇને કુલીઓની આવક પણ બંધ થઈ ગઈ હતી. અનલોક પ્રક્રિયામાં પણ સમગ્ર દેશમાં ફક્ત 250 જેટલી જ પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના ભાગે ફક્ત 10 જેટલી પેસેન્જર ટ્રેન આવી છે, ત્યારે આ ટ્રેનોમાં કુલીઓની આવક દસમા ભાગની થઈ ગઈ છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કુલીઓની છેલ્લા ત્રણ મહિનાથી આવક ન થવાથી હાલત કફોડી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર લગભગ 500 જેટલા કુલીઓ કાર્ય કરે છે. જેઓ દેશના જુદા-જુદા રાજ્યોમાંથી આવે છે. તેઓ અહીં ભાડે મકાન રાખીને પોતાની રોજીરોટી રળે છે, પરંતુ લોકડાઉન બાદ અત્યારે રેલવે સ્ટેશન પર ફક્ત 200 જેટલા કુલી જ કાર્ય કરી રહ્યાં છે. કારણ કે, આ વખતે ટ્રેન તેમજ પેસેન્જરોની સંખ્યા ખૂબ જ ઓછી છે, ત્યારે ઓછી આવક થતા પરિવારનું ગુજરાન ચલાવવુ અઘરું સાબિત થઇ રહ્યું છે. પહેલા જ્યારે એક દિવસના કુલીઓ 500 રૂપિયા કમાઈ લેતા હતા, ત્યારે હવે આજે તેઓ 50થી 100 રૂપિયા જ દિવસના કમાઈ રહ્યાં છે.

લોકડાઉન દરમિયાન પણ તેમને ગુજરાન કરવું અઘરું સાબિત થઇ રહ્યું હતું. રેલવે દ્વારા તેમને કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી. ફક્ત કેટલીક સેવાભાવી સંસ્થાઓ અને રેલવેના કેટલાક અધિકારીઓ દ્વારા અંગત રીતે તેમને મદદ કરવામાં આવી હતી, પરંતુ થોડાક દિવસના રાશનમાં તેમનું ગુજરાન શક્ય નથી. આ અંગે કુલી એસોસિએશને માગણી કરી છે કે, જ્યારે લાલુપ્રસાદ યાદવ રેલપ્રધાન હતા, તે સમયમાં કુલીઓને વર્ગ-4ની નોકરી આપવામાં આવી હતી. તેવી નોકરી આપવામાં આવે અને રેલવે તેમજ સરકાર આ કપરા સમયમાં અમારી મદદ કરે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે કોરોના વાઇરસને લઈને જાહેર કરેલા 20 લાખ કરોડના રાહત પેકેજ અને રાજ્ય સરકારે જાહેર કરેલા 14 હજાર કારોડના રાહત પેકેજમાં કુલીઓને કોઈ લાભ મળ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details