પાર્ટી વિરુદ્ધ કામ કરનારા સામે કોંગ્રેસે કરી લાલ આંખ અમદાવાદ:વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખૂબ જ ઓછી બેઠક પ્રાપ્ત થઇ છે. જેથી કોંગ્રેસે એ બાબત સ્પષ્ટ કરી લીધી છે કે જો કડક હાથે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસને વધારે નુકસાન થઇ શકે છે. આ જ બાબતને ધ્યાન પર લઇને કોંગ્રેસની શિસ્ત સમિતી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત સમિતી અત્યાર સુધીમાં 71 અરજીઓ પ્રાપ્ત થઇ છે. આ પૈકી 95 નેતાના નામ હતા કે જેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામગીરી કરી હતી. આ તમામ લોકોને શિસ્ત સમિતી દ્વારા સાંભળવામાં પણ આવ્યા હતા અને આ તમામ લોકોની ભૂમિકા શું હતી એ તમામ બાબતો શિસ્ત સમિતીએ સાંભળી હતી.
33 નેતાઓ સસ્પેન્ડ: શિસ્ત સમિતીએ આ તમામ નેતાને સાંભળીને મહત્વનો નિર્ણય લીધો છે. કુલ 33 નેતાઓને કોંગ્રેસે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાયના મહામંત્રી સુધીનું પદ ધરાવતા છ નેતાઓ પણ સામેલ છે. આ છ લોકોને કોંગ્રેસમાં જે જવાબદારી સોંપવામાં આવી હતી તે હોદ્દા પરથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસની શિસ્ત સમિતિ દ્વારા સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોFarmer protest Rajkot: હાડ થીજાવતી ઠંડીમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ, દિવસે મરેલી વીજળીની નનામી કાઢી
શિસ્ત સમિતિ એક્શનમાં: શિસ્ત સમિતિના કન્વીનર બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાંથી તા. 05/01/2023ના રોજ શિસ્ત સમિતિની પહેલી મીટીંગ મળી અને તા. 19/01/2023ના રોજ બીજી મીટીંગ મળી હતી. તેમાં જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. સાથે જે રજૂઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ જેમની સામે રજૂઆત છે તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરાશે. સામાન્ય કેસોમાં વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 12 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.
આ પણ વાંચોBullet Train Bharuch Station: બુલેટ ટ્રેન માટે નર્મદા નદી પર પુલનું નિર્માણ શરૂ
શું હોય છે શિસ્ત સમિતિનું કામ?: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શિસ્ત સમિતિના કન્વીનર બાલુભાઈ પટેલે આ અંગે જણાવતા કહ્યું છે કે, ઘણા સમયથી પ્રદેશ સમિતિમાં શિસ્ત સમિતિ કામ કરે છે. આ વખતે ડિસેમ્બર 2022માં તેની પુનઃરચના કરવામાં આવી છે. શિસ્ત સમિતિનું બે પ્રસંગો વખતે કામ હોય છે (1) ચૂંટણી સમયે કાર્યકર પક્ષના વિરુદ્ધ કામ કરે ત્યારે (2) વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આદેશ ભંગ કરે ત્યારે. જ્યારે કોઈપણ કાર્યકર માટે શિસ્ત ભંગની ફરિયાદ મળે ત્યારે જેણે શિસ્ત ભંગ કર્યા છે તે વિગતની ગંભીરતા પ્રમાણે તેની સામે શિસ્ત ભંગના પગલાં ભરવામાં આવે છે. જેમાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા, તેમનો હોદ્દો હોય તે પરત લઈ લેવાનો સમાવેશ થાય છે.