અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના કાંકરિયા લેક ખાતે દબદાબભેર કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લોકો દર વર્ષે કાંકરિયા કાર્નિવલની આતુરતાથી રાહ જોતા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. જોકે, કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી કેટલાક મહેમાનો અને કોર્પોરેટરો કંટાળી ગયા હતા. લોકો પણ સારા કાર્યક્રમની આશા રાખીને ઉભા છે પરંતુ કાર્યક્રમમાં લોકોને કંટાળો આવ્યો હતો.
kankaria carnival 2023: કાંકરિયા કાર્નિવલના ઉદઘાટન સાથે 216 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા મુખ્યમંત્રી - કાંકરિયા કાર્નિવલની વિશેષતા
અમદાવાદના સૌથી મોટા કાર્નિવલ એવા કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું ઉદઘાટન કર્યું હતું. ઉદ્ધાટન સમયે મુખ્યપ્રધાને ભૂતપૂર્વ વડાપ્રધાન અટલજીને યાદ કર્યા હતા અને કરોડોના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જોકે કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી કેટલાક મહેમાનો અને કોર્પોરેટરો કંટાળી ગયા હોય તેમ પણ ઉડીને આંખે વળગ્યું હતું.

Published : Dec 26, 2023, 7:23 AM IST
|Updated : Dec 26, 2023, 11:44 AM IST
સુશાસનના કારણે શહેરમાં પરિવર્તન:મુખ્યપ્રધાને કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આજે પ્રતિભાબેન સાથે ત્રણ પૂર્વ મેયર હાજર છે. અમિતભાઈ તો હવે ધારાસભ્ય થઈ ગયા. મારે સ્પેશિયલ એમને યાદ કરવા પડ્યા. 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ હોય ત્યારે આ પ્રસંગે તેમણે અટલ બિહારી વાજપેયીજીને પણ યાદ કર્યા હતાં અને આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવાતો હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું કે, સુશાસનના કારણે શહેરમાં પરિવર્તન આવ્યું છે. શહેરમાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવ્યો છે.
2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, વડાપ્રધાને વર્ષ 2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. લોકો દર વર્ષે આતુરતાથી આ કાર્નિવલની રાહ જોતા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. મુખ્યપ્રધાને આ કાર્નિવાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. કાંકરીયા તળાવની કાયાપલટ વડાપ્રધાને કરી હતી અને વર્ષ 2006માં કાંકરિયા લેકફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો.