અમદાવાદ : ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ વધારાની જાહેરાત કરી હતી. નીતિન પટેલે કોરોના વાઇરસના કારણે ગુજરાત સરકારની રેવન્યુમાં થયેલા ધરખમ ઘટાડાનો હવાલો આપીને આ ભાવ વધારો જાહેર કર્યો હતો. ગુજરાતના લોકોએ હવે પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય અને કેન્દ્રના ભાવ વધારાના કુલ 6.50 રૂપિયા લિટર દીઠ વધારાના ચૂકવવાના થશે. આ બાબતને લઈને અમદાવાદના નાગરિકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા પર અમદાવાદીઓનો મિશ્ર પ્રતિસાદ - Ahmedabadis' mixed response to petrol-diesel price hike
અમદાવાદ : કોરોના મહામારીને કારણે અપાયેલા બે મહિનાના લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ રહ્યા છે, ત્યારે લોકોની આવક ઘટી છે. બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક નોકરિયાતોના પગાર કપાયા છે, તો કેટલાક લોકોને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. આવા કપરા સમયે પણ કેન્દ્ર સરકારે છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં લગભગ સાડા ચાર રૂપિયાનો અને ડિઝલના ભાવમાં પોણા પાંચ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આજે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે આજે સોમવારથી રાત્રીના 12 કલાકથી અમલી બનશે. જેના પગલે અમદાવાદવાસીઓએ પ્રતિક્રિયા આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાજપના નેતાઓ પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા હતા, પરંતુ આજે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ તળીયે પહોંચ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, પરંતુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. તેને લઈને કેટલાક નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન સરકારને આવકમાં મોટું નુકસાન થયું છે અને સામે કોરોનાની મફત સારવારનો ખર્ચ વધ્યો છે. તેથી કેટલાક નાગરિકોએ આ ભાવ વધારાને યોગ્ય ગણાવ્યો હતો.