ગુજરાત

gujarat

ETV Bharat / opinion

પશ્ચિમ બંગાળમાં કટોકટની લડાઈઃ નંદીગ્રામમાં જામ્યો છે જંગ - west Bengal election

બે ઑડિયો ટેપ્સ બહાર પડી. એકમાં ભાજપના નેતા અને વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર મુકુલ રૉય હતા, જે પક્ષના કોઈ હોદ્દેદાર સાથે ચર્ચા કરી રહ્યા હતા. રૉયે કહ્યું કે ચૂંટણી પંચને મળીને મતદાન દરમિયાન બૂથ પર એજન્ટ મૂકવાની બાબતમાં નિયમ બદલવો જોઈએ.

Battle royale of Bengal
Battle royale of Bengal

By

Published : Mar 31, 2021, 12:01 PM IST

Updated : Mar 31, 2021, 12:23 PM IST

બે ઑડિયો ટેપ્સ બહાર પડી. એકમાં ભાજપના નેતા અને વિધાનસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવાર મુકુલ રૉય હતા, જે પક્ષના કોઈ હોદ્દેદાર સાથે ચર્ચા કરી રહ્યા હતા. રૉયે કહ્યું કે ચૂંટણી પંચને મળીને મતદાન દરમિયાન બૂથ પર એજન્ટ મૂકવાની બાબતમાં નિયમ બદલવો જોઈએ.

બીજી ઑડિયો ટેપમાં મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સર્વેસર્વા મમતા બેનરજી પૂરબા મેદિનીપુરમાં ભાજપના એક હોદ્દેદાર સાથે વાતચીત કરી રહ્યા છે. તેમણે ચૂંટણી દરમિયાન પોતાના પક્ષને મદદ કરવા માટે તેમને અરજ કરી હતી.

આ બંને ઑડિયો ક્લિપ કેટલી સાચી તેની ખરાઈ થઈ નથી, પરંતુ તેના કારણે ભારે વિવાદો થતા રહ્યા.

તે પછી થયો મોટો ધડાકો.

નંદીગ્રામના રેયપારા વિસ્તારમાં 28 માર્ચે એક સભાને સંબોધન કરતાં મમતા બેનરજીએ કહ્યું કે 14 માર્ચ 2007માં નંદીગ્રામમાં હત્યાકાંડ થયો હતો તેની પાછળ પિતા-પુત્ર શિશિર અધિકારી અને શુભેન્દુ અધિકારીનો હાથ હતો. નંદીગ્રામમાં ઘેરો ઘાલીને બેઠેલા દેખાવકારોને હટાવવા માટે પોલીસ ગોળીબાર થયો તેમાં 14 લોકોના મોત થયા હતા. નંદીગ્રામમાં ઇન્ડોનેશિયાના સલીમ ગ્રુપ દ્વારા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન માટે જમીન અધિગ્રહણ કરવાની દરખાસ્ત હતી તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા.

“તમને બધાને યાદ હશે કે ત્યારે કેટલાક લોકો સ્લીપર પહેરીને ફરતા હતા અને ગોળીબાર કર્યો હતો. તે લોકો હવાઈ ચપ્પલ પહેરીને ફરતા હતા. આજે એ લોકો જ ગરબડ કરી રહ્યા છે. હું પડકાર ફેંકુ છું કે કોઈ સાબિત કરી બતાવે કે પિતા-પુત્રની મરજી વિના પોલીસ તે દિવસે ફાયરિંગ કરી શકી હોત. ઠીક છે, હું પણ ખાસ કશું કરી શકી નહોતી, કેમ કે હું ભદ્રલોક છું,” એમ મમતા બેનરજીએ પોતાના જ પક્ષમાં એક વખતના મહત્ત્વના નેતાઓ શિશિર અને તેમના પુત્ર શુભેન્દુ અધિકારી વિશે કહ્યું.

મમતા બેનરજીએ આ આક્ષેપ મૂક્યો તે પછી જાણે વાવાઝોડું આવ્યું હતું. સોશ્યલ મીડિયામાં મેસેજનો મારો ચાલ્યો હતો અને અખબારો, ચેનલો પણ સમાચારો ચમકવા લાગ્યા કે આખરે બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ધોતી પર લાગેલા લોહીના દાઘ ધોવાયા. તે પણ એક સમયના તેમના કટ્ટર હરિફ મમતા બેનરજીએ જ આ દાધ ધોવાનું કામ કર્યું.

તે બનાવના 14 વર્ષ પછી શા માટે મમતા બેનરજીએ અચાનક જાહેરમાં આવા આક્ષેપો કર્યા? મતદાનના ચાર દિવસ પહેલાં જ શા માટે તેમણે આવો મોટો ધડાકો કરવો પડ્યો? નંદીગ્રામમાં મમતા તેમના રાજકીય જીવનના 40 વર્ષમાં સૌથી મોટી ચૂંટણી લડી રહ્યા છે. અહીં શા માટે તેમણે સીપીઆઈ(એમ)ને હત્યાકાંડના દોષમાંથી મુક્ત કરવાનું નક્કી કર્યું? છેલ્લા ચાર દાયકાથી તેઓ સૌથી લડાઈ આ ડાબેરી મોરચા સામે જ ચલાવી રહ્યા છે. આ જ નંદીગ્રામમાંથી તેમણે આંદોનલ ઉપાડ્યું હતું અને તે રીતે 2007માં તેમની રાજકીય યાત્રાનો આરંભ થયો હતો. તે વખતની ઘટનાને તેમણે આ રીતે કેમ જાહેર કરી તેની ચર્ચા નંદીગ્રામમાં ફૂંકાઈ રહી છે.

પૂરબા મેદિનીપુરમાં નંદીગ્રામ વિધાનસભા બેઠક આવેલી છે, જે કાયમ ડાબેરીઓનો ગઢ રહ્યો છે. નંદીગ્રામ તાલુકા અને બે પંચાયત સમિતિ તથા 17 ગ્રામ પંચાયતો આ બેઠક હેઠળ આવે છે. પડોશી જિલ્લા હલ્દીયામાં કાયમ ઔદ્યોગિક વિકાસનો ઝગમગાટ હતો તેના પડછાયામાં જ નંદીગ્રામ રહ્યું છે. નંદીગ્રામમાં સાડા ત્રણ લાખની વસતિ છે અને તેમાં 2.70થી વધુ મતદારો છે. તેમાં 27 ટકા મુસ્લિમ મતદારો પણ છે અને તે જ આ વિવાદના કેન્દ્રમાં છે.

તૃણમૂલ કોંગ્રેસના કર્તાહર્તાઓ નંદીગ્રામ બ્લોક-1માં રહેતા લઘુમતી મતો પર મદાર રાખી રહ્યા છે. આ બ્લોકમાંથી મમતા બેનરજી માટે બહુમતી મતો મળી જાય તો તેમને સારી એવી લીડ મળી જાય. તેની સામે ભાજપ અથવા તો કહો કે શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બ્લોક-2 પર મદાર રાખીને બેઠા છે. તેમના માટે આ જાણીતો વિસ્તાર છે અને બ્લોક-2માંથી સારા એવા મતો મેળવીને તેઓ મમતા બેનરજીને લડત આપવા માગે છે. તેથી જ શુભેન્દુ આ વિસ્તારના હિન્દુ મતોને આકર્ષવા માટે મથી રહ્યા છે.

નંદીગ્રામ ગંગાસાગરની નજીક છે એટલે અહીં વૈષ્ણવ સંપ્રદાયની હાજરી વર્તાય અને દરેક ગામમાં કિર્તનની ધૂન સંભળાતી રહે છે. શુભેન્દુ ઇચ્છે છે કે આ કિર્તનની ગુંજ ઈવીએમ મશીનોમાં પણ ગુંજે. આ ચૂંટણીમાં 70-30 ફોર્મ્યુલાનું ધ્રુવીકરણ ચાલી રહ્યું છે તે બેફામપણે વ્યક્ત થઈ રહ્યું છે.

આ બધા વચ્ચે ડાબેરી મતો ફેર પાડી શકે છે. 2011માં ડાબેરી મોરચાને મમતા બેનરજીએ હરાવ્યો ત્યારે પણ આ બેઠક પર તેને 60,000 મતો મળ્યા હતા. 2016માં ફરી વાર ડાબેરીઓ હારી ગયા ત્યારે પણ 53,000 મતો મળ્યા હતા. તે પછી 2019માં લોક સભામાં ડાબેરી મતો લગભગ અદૃશ્ય થઈ ગયા. નંદીગ્રામ જે લોક સભા બેઠક તામુલક નીચે આવે છે, તેમાં ડાબેરીઓને 1.40 લાખ મતો મળ્યા હતા.

તેથી આ વખતે નંદીગ્રામમાં સીપીઆઈ (એમ)ના ઉમેદવાર મીનાક્ષી મુખરજી કેટલા મતો ખેંચી જાય છે તેના આધારે પરિણામ નક્કી થાય તેવું લાગે છે. તેના કારણે જ મમતા બેનરજીએ કદાચ ડાબેરીઓને રાહત થાય તેવો આ ઘટસ્ફોટ કર્યો છે. ડાબેરી મતો ભગવી છાવણી તરફ (બામના વૉટ રામને) વળવા લાગ્યા છે તે પ્રવાહને મમતા અટકાવવા માગે છે. નંદીગ્રામની હિંસા માટે ડાબેરીને બદલે શુભેન્દુને જવાબદાર ઠરાવીને તેના તરફ જતા મતો અટકાવવાની ચાલ છે.

શુભેન્દુ સામે પણ મમતાને હરાવવાનો મોટો પડકાર છે. સીપીઆઈ(એમ)ના લક્ષ્મણ શેઠને શુભેન્દુએ હરાવેલા પણ મમતાને હરાવવા મુશ્કેલ છે. મમતા છેલ્લી ઘડીએ હવાને ફેરવી નાખે અને ભોં ભારે પાડી દે તેવું બની શકે છે.

પણ શું આ રીતે ડાબેરીઓ પરનો દાઘ ધોવાનું કામ કરીને મમતા બેનરજી CPI(M) સામે ગાજર લટકાવી રહ્યા છે? શું તેઓ જરૂર પડ્યે ડાબેરીઓનું બહારથી સમર્થન લેવા માટે તૈયાર છે? શું મમતા બેનરજી પોતાના હરિફોને વિચારતા કરી મૂકે અને પોતાનો જાદુ ચલાવી દે તેવું બનશે? નંદીગ્રામની લડત ખરેખર રસપ્રદ બની ગઈ છે. અહીં પહેલી એપ્રિલે મતદાન થવાનું છે.

-દીપાંકર બોઝ, ન્યૂઝ કૉઓર્ડિનેટર, ઈટીવી ભારત

Last Updated : Mar 31, 2021, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details