ગુજરાત

gujarat

By

Published : May 6, 2019, 5:08 AM IST

ETV Bharat / international

શ્રીલંકામાં 200 મૌલવીઓ સહિત 600 વિદેશી નાગરિકોની હકાલપ્ટ્ટી

કોલંબો: ઈસ્ટરના દિવસે થયેલા સિરીયલ વિસ્ફોટ બાદ શ્રીંલકાએ 200 મૌલવી સહિત 600 વિદેશી નાગરિકોની હકાલપ્ટ્ટી કરી છે. હુમલાના લગભગ 15 દિવસ બાદ આજે ફરી સ્કૂલો શરૂ થશે.

ફાઇલ ફોટો

આ મુદ્દે ગૃહ પ્રધાન વાજિરા અભયવર્ધને કહ્યું કે, આ તમામ લોકો કાયદેસર રીતે શ્રીલંકા આવ્યા હતા, પરંતુ આતંકી હુમલા પછીની તપાસમાં ખબર પડી કે, અનેક લોકો વિઝા સમાપ્ત થઈ ગયા છે, છતાં શ્રીલંકામાં રહે છે. આ પ્રકારના લોકોને ડિપોર્ટ કરતા પહેલાં અમે તેમને દંડ પણ ફટકાર્યો છે. દેશની હાલની સુરક્ષાની સ્થિતિ જોઈને વિઝા સિસ્ટમની અમે સમીક્ષા કરી હતી.

વાજિરા અભયવર્દ્ધને કહ્યું કે, દેશમાં સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં લેતાં વિઝા પ્રણાલીની સમીક્ષા કરવામાં આવી અને ધાર્મિક શિક્ષકોના વિઝા પ્રતિબંધને કડક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, બહાર કરાયેલાં લોકોમાંથી 200 મૌલવીઓ છે. એટલું જ નહીં, સરકારે લોકોને અપીલ કરી છે કે, ઘરમાં રહેલાં તલવારો સહિતનાં હથિયારોનો ત્યાગ કરી દે. શ્રીલંકા પોલીસે હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા રવિવાર સુધીનો સમય આપ્યો છે.

આ આતંકી હુમલાને લઇને જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું હતું કે, શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના બોમ્બ વિસ્ફોટોના હુમલાખોરો કાશ્મીર આવ્યા હોવાની કોઈ જ માહિતી નથી. શ્રીલંકાના દૂતાવાસથી પણ અમને કોઈ જ માહિતી નથી મળી. સોશિયલ મીડિયામાં આવેલા નામોના આધારે અમે ઈમિગ્રેશન રેકોર્ડની તપાસ કરી છે, પરંતુ તેઓ અહીં આવ્યાના કોઈ જ પુરાવા હાજર નથી.

જોકે, સુરક્ષા એજન્સીના એક અધિકારીએ કહ્યું કે, શ્રીલંકાના આશરે એક ડઝન નાગરિક કાશ્મીર આવ્યા હતા. એવું પણ થઈ શકે છે કે, તેમણે નામ બદલ્યા હોય. જો શ્રીલંકા પુરાવા આપશે તો ઊંડાણપૂર્વક તપાસ થશે. હાલમાં જ શ્રીલંકન સેનાના વડા મહેશ સેનાનાયકે દાવો કર્યો હતો કે, શ્રીલંકાના આત્મઘાતી હુમલાખોરો કાશ્મીર, કેરળ અને બેંગલુરુ ગયા હતા.

શ્રીલંકામાં આતંકી હુમલા પછી સ્કૂલો બંધ કરવાનો આદેશ કરાયો હતો. એ પછી સોમવારથી ફરી એકવાર શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં 21 એપ્રિલે ઈસ્ટરના દિવસે થયેલા વિસ્ફોટમાં 257 લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટમાં 500થી વધારે લોકો ઘાયલ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details