- ગુજરાતના મુખ્યપ્રધાન બદલાયા બાદ નવા પ્રધાનમંડળમાં ભાજપે નો રીપીટ થીયરી અપનાવી
- નો રીપીટ થીયરી મામલે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનુ સ્ફોટક નિવેદન
- નો રિપીટ થિયેરી બીજા બધા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં
વડોદરા: વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હાલમાં રાજ્યમાં બદલાયેલી રાજકીય તસ્વીરને લઈને તેઓએ ફરી એકવાર જે નિવેદન કર્યા છે. તે એક નવો વિવાદ શરૂ કરે તો નવાઈ નહીં. શુક્રવારે ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપ ભલે પ્રધાન મંડળમાં કે આગામી ચૂંટણીમાં નો રિપીટ થિયેરી અપનાવે, પરંતુ આ થિયરી મધુ શ્રીવાસ્તવને લાગુ પડતી નથી. માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પરથી ભાજપની ટીકીટ પર જ ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. તેઓએ આગામી ચૂંટણીમાં અગાઉ કરતા પણ વધુ મતોથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સાતમી વખત પણ લડીશ અને જીતીશ, તેમા શંકાને કોઇ સ્થાન નથી: મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, એક તો અમારી ભારતીય જનતા પાર્ટીએ નો રીપીટની થીયરી અપનાવી છે. તે માટે હું ભારતીય જનતા પાર્ટીને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. એટલે હું તેમણે ખુબ ખુબ અભિનંદન આપું છું. હું ચુંટણી 6 વખત લડ્યો છું અને જીત્યો છું. સાતમી વખત પણ લડીશ અને જીતીશ, તેમા શંકાને કોઇ સ્થાન નથી.