- વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા સર્જાતા લોકોને પડી હાલાકી
- માંજલપુર લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે વેક્સિનનો સ્લોટ ખાલી થતા હોબાળો
- વેક્સિનના બીજા ડોઝથી વંચિત રહેલા લોકો દ્વારા દર્શાવવામાં આવી નારાજગી
વડોદરા : રાજ્યમાં 21 જૂનથી શરૂ થયેલા વૉક ઈન વેક્સિનેશન કેમ્પેન (Walk In Vaccination Campaign) ના પ્રથમ દિવસે જ શહેરના માંજલપુર દીપ ચેમ્બર્સ ખાતે લિટલ ફ્લાવર ખાતેના વેક્સિનેશન સેન્ટર પર અવ્યવસ્થા સર્જાઈ હતી. વેક્સિનનો સ્ટોક ખૂટી જતા બીજો ડોઝ લેવા માટે આવેલા લોકો વેક્સિનથી વંચિત રહી જતા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારે રજીસ્ટ્રેશન કર્યા વિના વેક્સિન આપવાની ખોટી જાહેરાતો કરી રહી હોવાના આક્ષેપો પણ કર્યા હતા.
પ્રથમ દિવસે જ વડોદરામાં વેક્સિન લેવા પહોંચેલા લોકોને પડી હાલાકી સરકારે 2.20 કરોડ લોકોને લાભ મળ્યો હોવાનો કર્યો દાવો
આજે 21 જૂન વિશ્વયોગ દિનથી દેશના તમામ 18 વર્ષથી ઉપરની વયજૂથના લોકો માટે વૉક ઈન વેક્સિનેશન કેમ્પેન (Walk In Vaccination Campaign) શરૂ કરાવવામાં આવ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના 2.20 કરોડ જનતાને તેનો લાભ મળ્યો હોવાનું તથા ગુજરાત સૌથી અગ્રેસર હોવાનો દાવો કર્યો છે. વડોદરા શહેરમાં વિશ્વ યોગ દિવસથી 260 કેન્દ્રો ખાતે વેક્સિનેશન કેમ્પેન (Vaccination Campaign) નો પ્રારંભ કરાયો છે.પરંતુ પ્રથમ દિવસે જ કો-વેક્સિનના સ્લોટની અછત મુદ્દે હોબાળો સર્જાવવાની ઘટના પણ સામે આવી છે.
આ પણ વાંચો -બારડોલીમાંWalk in Vaccination Campaign નો પ્રારંભ
50 રજિસ્ટર્ડ અને 50 અનરજિસ્ટર્ડ લોકોનો સ્લોટ સમય કરતા પહેલા જ પૂરો
વડોદરાના માંજલપુર ખાતે આવેલા લિટલ ફ્લાવર સ્કૂલ ખાતેના કોરોના વેક્સિનેશન સેન્ટર ખાતે સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. જેમાં કો-વેક્સિનના બીજા ડોઝ માટે લોકો પોતાના કામધંધા છોડી ઉભા હતા પરંતુ તે દરમિયાન સ્ટાફ દ્વારા કોવેક્સિનનો સ્લોટ જે 50 અન-રજીસ્ટર્ડ માટે તથા 50 રજીસ્ટ્રેશન કરાવેલા લોકો માટે કેન્દ્ર ખાતે આપવામાં આવ્યો હતો. તે સ્લોટ પૂરો થયો હોવાનું જણાવતા પોતાના કામધંધા નોકરી, ઘરકામ છોડીને સવારથી લાઇનમાં ઉભેલા લોકો ભડક્યા હતા અને તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો -રાજ્યના ક્યા શહેરમાં Walk in Vaccination Campaign ના પ્રથમ દિવસે જોવા મળી કતાર ?
સરકારે ખોટી જાહેરાતો કરી હોવાના આક્ષેપ
વેક્સિનનો બીજો ડોઝ લેવા આવેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે, "સવારના 11 વાગ્યાથી અહીં વેક્સિનનો બીજો ડોઝ લેવા આવ્યો છું. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ ના પાડવામાં આવી કે નહીં મળે. જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે વ્યક્તિઓને જ મળશે. તંત્રની ઘણી બેદરકારી કહેવાય. લોકોને ખોટી રીતે હેરાન કરવાના ધંધા કરવામાં આવ્યા છે. ખોટી જાહેરાતો ના કરવી જોઈએ કે રજીસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. કાં તો પૂરેપૂરા ડોઝની વ્યવસ્થા કરવી જોઈએ." જ્યારે અન્ય એક વ્યક્તિ જીગર પંચાલે જણાવ્યું હતું કે,"સવારના લાઈનમાં ઉભા છે. અહીંના સિક્યુરિટીને પૂછ્યું કે રજીસ્ટ્રેશન વગર વેક્સિનેશન થશે તો હા પાડવામાં આવી હતી. જ્યારે કલાકો વીત્યા બાદ માહિતી આપવામાં આવે છે કે જે સ્ટોક હતો તે પૂરો થઈ ગયો છે. હું બીજો ડોઝ મૂકાવવા માટે આવ્યો હતો પરંતુ તંત્રની બેદરકારીને કારણે મૂકાવી શક્યો નથી."