વર્ષ 2017માં ભાજપે ક્લિન સ્વિપ કરતા વિધાનસભા ચૂંટણીમાં વડોદરાની તમામ 7 બેઠક પર સત્તા મેળવી લીધી હતી. શૈક્ષણિક હબ ગણાતા વડોદરામાં ઓદ્યોગિક એકમો હોવા છતાં બેરોજગારીનો પ્રશ્ન આજે પણ યથાવત છે. નોટબંધી અને જીએસટીને કારણે વેપાર-ધંધાઓ પર વ્યાપક અસર થઈ છે. જેથી વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતો વિકાસ થયો નથી. જેથી અનેક ગામડા આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
વડોદરામાં વટનો સવાલઃ રંજનબેન સામે રોષ, તો કોંગ્રેસના પ્રશાંત નવા - prashant patel
વડોદરાઃ સાંસ્કૃતિક પાટનગર ગણાતું વડોદરા કોંગ્રેસના સિતારા વખતે ભાજપ સમર્થિત રહ્યું, જે બે દશકાથી અકબંધ રહ્યું છે. ગાયકવાડી શાસનને લીધે મરાઠી સમાજનું પ્રભુત્વ ધરાવતું વડોદરા, છેલ્લાં કેટલાંક વખતથી વિકાસની ધારાથી પાછળ રહ્યું છે. વર્ષ 2014માં વડાપ્રધાનપદના દાવેદાર નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીથી ચૂંટણી લડ્યા અને વિજયી બન્યા હતાં, જેથી મોદીએ વડોદરા બેઠક છોડી દીધી, ત્યારબાદ પેટાચૂંટણી યોજાઈ અને ભાજપના રંજન ભટ્ટ જીત્યાં હતાં.
વડોદરા લોકસભા બેઠકમાં કોઈ ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ રહ્યું નથી. દરેક ચૂંટણીમાં મુસ્લિમ મતદારો કોંગ્રેસ તરફી રહ્યાં છે, પરંતુ મુસ્લિમ મતદારોની લોકસભા ચૂંટણીમાં કોઈ ખાસ ભૂમિકા રહેતી નથી. સાંસદ રંજનબેન ભટ્ટ પોતાના મત વિસ્તારમાં સક્રિય રહ્યા નથી. શહેર પ્રમુખ હોવા છતાં રંજનબેનને અનેક વખત ભાજપના જ કાર્યકરોના રોષનો સામનો કરવો પડ્યો છે. જોકે મોદીવેવને કારણે રંજનબેનની નબળાઈ દબાઈ જાય છે.
આ વખતે કોંગ્રેસે યુવા નેતા પ્રશાંત પટેલને ટિકીટ આપી છે, પ્રશાંતભાઈ વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય રહ્યાં છે, પરંતુ લોકસભા જેવી મહત્વની ચૂંટણીમાં તો નવો નિશાળિયો જ છે. બીજી તરફ ભાજપ માટે વટનો સવાલ ગણાતી આ બેઠક પર વર્તમાન સાંસદ રંજન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યાં છે. હાલ તો રંજનબેન માટે જનસંપર્કના અભાવ છતાં મોદીવેવની આશા ઉજળી જણાઈ રહી છે.