વડોદરાઃ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં મધરાત્રે આગમાં 8 કોરોના દર્દીઓના મોતની દુર્ઘટનાને પગલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડ વિભાગના સ્ટાફને બોલાવી ફાયર સેફ્ટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એસએસજી હોસ્પિટલમાં કાર્યરત COVID-19ના સારવાર વિભાગમાં ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો સહિત અનેક સુરક્ષાત્મક પાસા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
શ્રેય હૉસ્પિટલ અગ્નિકાંડઃ વડોદરાની SSG હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને પગલે તકેદારીના ભાગરૂપે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર વિભાગમાં ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા ફાયર સેફટીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે, કે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ વહીવટી તંત્ર જાગ્યું છે. વડોદરામાં પણ અમદાવાદ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર દોડતું થયું છે. વડોદરાના મ્યુ. કમિશ્નર નલિન ઉપાધ્યાય દ્વારા શહેરની 84 હોસ્પિટલોને ફાયર સેફટીને લઇને નોટિસ ફટકારી છે. જેમાં શહેરની બંને સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. આ બંને હોસ્પિટલ્સમાં મોટી સંખ્યામાં કોરોનાનાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નરે શહેરની આ તમામ હોસ્પિટલ્સમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઇને શું સ્થિતિ છે તે ચકાસવા ફાયર બ્રિગેડ વિભાગને આદેશ આપ્યા છે. જેને પગલે ફાયર બ્રિગેડની ટીમે સયાજી હોસ્પિટલમાં જઇ ત્યાં લાગેલાં ફાયર સેફટીનાં સાધનોની ચકાસણી કરી હતી.