ગુજરાત

gujarat

ભારત બંધના એલાનમાં સુરત કાપડ ઉદ્યોગ જોડાયો નથી, ટેક્સટાઇલ માર્કેટ રાબેતા મુજબ ચાલુ રહી

By

Published : Dec 8, 2020, 3:40 PM IST

કૃષિ બિલને લઈને દિલ્હીમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કૃષિ બિલના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનની અસર સુરતમાં નહીંવત જોવા મળી છે. ભારત બંધના એલાન બાદ પણ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ શરૂ હતી. ભારત બંધના એલાનમાં સુરત કાપડ ઉદ્યોગ જોડાયો નહતો. બીજી તરફ સુરતમાં ઠેર ઠેર વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

સુરત ટેક્સટાઈલ માર્કેટ
સુરત ટેક્સટાઈલ માર્કેટ

  • કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો દ્વારા આજે ભારત બંધનું એલાન
  • સુરત ટેક્સટાઇલ માર્કેટનું ભારત બંધને સમર્થન નહીં
  • વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવી

સુરત: કૃષિ બિલના વિરોધ અને ખેડૂત આંદોલનનો આજે 13મો દિવસ છે. આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ સુરતમાં આ ભારત બંધના એલાનની ખાસ અસર જોવા મળી નહતી. કોંગ્રેસે ભારત બંધના એલાનને સમર્થન આપતા સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા નેતાઓની અટકાયત કરી હતી. જુદા જુદા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન કર્યા હતા.

ભારત બંધના એલાનમાં સુરત કાપડ ઉદ્યોગ જોડાયો નથી
કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરી બેનરો સાથે વિરોધ નોંધાવ્યો
સુરતમાં ભારત બંધને લઈને કોંગ્રેસ દ્વારા વિવિધ જગ્યાઓ પર વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિરોધ કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. વરાછા માનગઢ ચોક પાસે કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા અને ત્યાં બેનરો અને સુત્રોચ્ચાર કરી વિરોધ કરી રહ્યા હતા. તે સમયે ત્યાં હાજર પોલીસ કાફલાએ તેમની અટકાયત કરી હતી.
મહિલા કાર્યકરો બેનરો સાથે રોડ પર બેસી ગયા


સુરતના રીંગરોડ ખાતે પણ કોંગ્રસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ અને યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસની મહિલા કાર્યકરો બેનરો સાથે રોડ પર બેસી ગઈ હતી અને રોડ બ્લોક કરી દીધો હતો. તેઓએ ભાજપ વિરોધી સુત્રોચાર કર્યા હતા. કોંગ્રેસના વિરોધના પગલે થોડીવાર માટે અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે પોલીસે અહીં પણ અટકાયતનો દોર શરુ કર્યો હતો અને વિરોધ કરી રહેલી મહિલાઓ અને કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

વિરોધ કરી રહેલા લોકોને રાઉન્ડ અપ કરાયા હતા

દિલ્હી ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને તેમના આંદોલનનો આજે 13મો દિવસ છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજે પણ સમર્થન જાહેર કર્યું છે. તેઓ ભારત બંધના એલાનમાં જોડાવાની જાહેરાત કરી હતી ત્યારે પોલીસે વહેલી સવારથી જ ખેડૂત સમાજની ઓફીસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિરોધ કરી રહેલા લોકોને રાઉન્ડ અપ કરાયા હતા.

પોલીસની આ કામગીરીને સરમુખત્યારશાહી ગણાવી

કોંગ્રેસના પ્રમુખ, કોર્પોરેટરો અને નેતાઓને તેમના ઘર નજીકથી જ પોલીસે કોર્ડન કરીને અટકાયત કરી લીધી હતી. સુરત કોંગ્રેસના પ્રમુખે પોલીસની આ કામગીરીને સરમુખત્યારશાહી ગણાવી હતી. કોંગ્રેસ શાંતિપૂર્ણ વિરોધ કરવા જઇ રહી હોવા છતાં પોલીસે કાર્યકરો અને નેતાઓને તેમના ઘર નજીકથી ઉંચકી લેતા કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે.

ચોકસી બજાર ખાતે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો

ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનને સુરતમાં શિવસેનાએ સમર્થન આપ્યું હતું. જેમાં ચોકસી બજાર ખાતે શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેનાના નેતાઓએ નરેન્દ્ર મોદીના ફોટા પર કળશ રાખી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જો કે બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરો અને શિવસેનાના નેતાઓની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details