સુરત: સંસ્કૃત ભાષા એ તમામ ભાષાઓની જનની છે. આ અતિપ્રાચીન દેવભાષામાં ભારતીય સંસ્કૃતિના મૂળિયા રોપાયેલા છે. દેશભરમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી 31 જુલાઈથી 6 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવે છે. આપણા દેશમાં અનેક ભાષાઓમાં સમાચારપત્ર પ્રકાશિત થાય છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, ડાયમંડ સિટી સુરતથી દાઉદી વ્હોરા સમાજના મુસ્લિમ બંધુઓ દ્વારા દેશનું એકમાત્ર દૈનિક સંસ્કૃત સમાચારપત્ર વિશ્વસ્ય વૃતાન્ત પ્રકાશિત થાય છે.
આ સમાચારપત્રના મેનેજીંગ એડિટર મુર્તુઝા ખંભાતવાલાએ જણાવ્યું હતું કે, તેમને સંસ્કૃત ભાષા પ્રત્યે પહેલેથી જ લગાવ હતો અને તેના પ્રચાર-પ્રસાર માટે તેમણે સંસ્કૃત ભાષામાં અખબારની શરૂઆત કરી. શરૂઆતના વર્ષોમાં મુર્તુઝા ખંભાતવાલાને વિશ્વસ્ય વૃતાન્ત અખબાર માટે પૂરતા રીડર્સ ન મળતા તેને બંધ કરવાનું તેમણે વિચાર્યુ હતું. પરંતુ તેમના મામા સૈફી સંજલીવાલાએ આર્થિક મદદ કરતા આ અખબારનું પ્રકાશન ચાલુ રહ્યું.