- 'સ્વચ્છ સર્વેક્ષણ 2021'માં ગુજરાતના 3 શહેરો
- વડોદરા 8માં અને અમદાવાદ 10માં નંબર પર
- નંબર-1 બનવા માટે સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહી ગયું
સુરત: સુરત: પીએમ નરેન્દ્ર મોદી (pm narendra modi)ના મહત્વાકાંક્ષી સ્વચ્છતા મિશન હેઠળ દર વર્ષે કરાવવામાં આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2021 (swachh survekshan 2021)ના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ સર્વેમાં દેશના 4 હજારથી વધારે શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના સુરત (surat) શહેરે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે વડોદરા (vadodara) 8માં અને અમદાવાદ (ahmedabad) 10માં નંબરે છે.
સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો બીજા ક્રમનો એવોર્ડ અર્પણ
વર્ષ 2020માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતે દેશમાં બીજો ક્રમ મેળવ્યો હતો. આજે નવી દિલ્હી (new delhi) ખાતે સ્વચ્છ ભારત મિશન (swachh bharat mission) દ્વારા આયોજિત કાર્યક્રમમાં જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર ભારતમાં ફરી એક વખત સુરત શહેરે બીજા ક્રમની સિદ્ધી પ્રાપ્ત કરી હતી અને શહેરી વિકાસ મંત્રાલય (ministry of urban development) દ્વારા આયોજિત સમારંભમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હસ્તે સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાને સ્વચ્છતા સર્વેક્ષણ 2021નો બીજા ક્રમનો એવોર્ડ અર્પણ કરાયો હતો.
સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહ્યું
નંબર-1 બનવા માટે સુરત ઇન્દોરથી માત્ર 58 પોઇન્ટ પાછળ રહી ગયુ છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2021ના પરિણામમાં ઈન્દોર શહેરનો પ્રથમ ક્રમ જાહેર કરાયો હતો. આ સાથે જ ઈન્દોર છેલ્લા 5 વર્ષથી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. સુરત શહેરે સ્વચ્છતા બાબતે અનેક નવા સીમાચિન્હો સર કર્યા છે. વિતેલા 5 વર્ષમાં સુરત કન્ટેનર ફ્રી સિટી બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળતી સ્વચ્છતા સાથે રાત્રી સફાઈની કામગીરીનું દેશના અનેક શહેરોમાં અનુકરણ થઈ રહ્યું છે.
સ્વચ્છતા મામલે સુરતે નવો ચીલો ચીતર્યો
લીલો અને સુકો કચરો અલગ તારવી તેનો આખરી નિકાલ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બિલ્ડિંગ વેસ્ટ, ઈ-વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ, ઓર્ગેનિક વેસ્ટના નિકાલ માટે અલગ જ પદ્ધતિ અમલમાં મુકાઈ છે. આ તમામ કામગીરીથી સુરતે એક નવો ચીલો ચીતર્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2021 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વચ્છ શહેરો માટે આપવામાં આવ્યા છે.